પૃષ્ઠ:Snehashristi.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬:સ્નેહસૃષ્ટિ
 


માત્ર તેનાં માતાપિતા એક નિરર્થક શરત મૂક્યાં કરતાં હતાં : લાખ રૂપિયાની રકમ મધુકર અને તેનાં માતાપિતાના સ્વતંત્ર ઉપયોગ માટે જુદી મુકાય તો જ લગ્ન થાય ! એ શરત રાવબહાદુર મંજૂર ન જ કરે… એવી મંજૂરીની મધુકરની દૃષ્ટિએ જરૂર પણ ન હતી. લગ્ન પછી પણ એટલી રકમ ક્યાં ઉપાડી શકાતી નથી ? એટલે માતાપિતાને આવી શરત વચમાં ન લાવવા મધુકર વારંવાર વિનંતી કરતો હતો. અને એ વાતચીતને અંતે માતાપિતા અને મધુકર વચ્ચે ભારે કડવાશ ઊપજતી. આજે ચા પીતે પીતે પણ એની એ જ વાત થઈ અને મધુકરે પોતાનો ભરોસો રાખવા આગ્રહપૂર્વક માતાપિતાને કહ્યું ત્યારે માતાએ કહ્યું :

‘તારો તો અમને ભરોસો ખરો જ ! પરંતુ મોટા ઘરની છોકરી આવે એનો શો ભરોસો ?’

‘પરણ્યા પછી એ મારે જ વશ રહેશે ને ?’ મધુકરે કહ્યું.

‘ન રહી તો ?’ માતાએ કહ્યું.

‘અને હવે તો ઝટપટ છૂટાછેડા પણ છોકરીઓ લઈ લે છે !’ પિતાએ કહ્યું. વયે વધેલા પિતાનો લગ્નવ્યવહારમાં હજી ચીવટાઈ ભર્યો રસ હતો.

મધુકરને અંશતઃ માતાપિતાનું વ્યવહારજ્ઞાન સમજાયું ખરું. લગ્ન પછીના સંભવિત છૂટાછેડા સામે લાખ રૂપિયાનો વીમો છેક ખોટો તો નહિ જ !

‘પરંતુ એ શરત મૂકતાં લગ્ન જ બંધ રહે તો ?’ મધુકરે પૂછ્યું.

‘એ બને જ નહિ… આટલે સુધી વાત આવ્યા પછી… લગભગ દિવસ પણ નક્કી કર્યા પછી… લગ્ન બંધ ન જ રહે… આમંત્રણ નીકળી ગયા પછી જોર કરીશું… પછી કાંઈ ?’ માતાએ કહ્યું.

‘એ તો બધું ઠીક છે… પણ ઓ મૂર્ખ ! તું નાની વાત પણ સમજતો નથી.’ પિતાએ કહ્યું.

‘શી વાત ?’

‘બધું સમજ્યા લગ્ન થાય; તારા ઉપર મિલકત ન્યોછાવર થાય ભલે. પરંતુ એક સંભવ તેં વિચાર્યો જ નથી…’ પિતાએ કહ્યું. અને ધીમે રહીને વાત આગળ વધારી : ‘કદાચ… ન કરે નારાયણ… અને લગ્ન થઈ ગયા પછી કન્યાને કાંઈ રાજકદૈવક થાય …તો ?’ પિતાએ ધીમે રહીને પૂછ્યું.

‘એટલે ?’ રાજક શું અને દૈવક શું એ આજની દુનિયા સમજતી ન હોવાથી મધુકરે પૂછ્યું. આસમાની સુલતાની શબ્દ પણ હવે નવી પેઢી