પૃષ્ઠ:Snehashristi.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
 
લગ્ન તરફ પગલાં
 

મધુકરના પિતા મધુકરના કરતાં પણ વધારે વ્યવહારકુશળ હતા એની ખબર આવા અજોડ પુરાવા સહ મધુકરને અત્યારે જ થઈ. ધનિક સ્ત્રીને પરણવું એ સારું છે. પરંતુ એ ધનિક યુવતી રખેને અણધાર્યું સ્વર્ગારોહણ કરે અને તેનું ધન પરણેલા પતિના હાથમાંથી છટકી જાય એ સંભવ જેમ બને તેમ સાચવી લેવો વધારે સારો ! એના વ્યવહારે એના પિતાના ડહાપણને ઓળખાવ્યું તો ખરું જ; પરંતુ મધુકર હમણાં જ જયોત્સ્નાને વચન આપી આવ્યો હતો કે તે જ્યોત્સ્ના સિવાય બીજી એક પણ ભેટ સ્વીકારશે નહિ. પ્રેમવીરત્વ દર્શાવવામાં તેણે ભૂલ કરી હતી એમ તેને લાગ્યું. પરંતુ વધારે ખેંચ કરવામાં આ વિચિત્ર છોકરી સમૂળી હાથમાંથી ખસી જાય એવો પણ તેને ભય હતો જ. અઠવાડિયામાં તો તેનું લગ્ન થવાનું હતું. એ લગ્નની જાહેરાત થઈ જાય એટલે પોતાના પિતાની માફક જો કાંઈ રકમ ખેંચી શકાતી હોય તો ખેંચી કાઢવા માટે થોડીઘણી સગવડ તો હતી જ. વરનાં માતાપિતાને રાવબહાદુર જેવા ધનાઢ્ય પુરુષ લાખ રૂપિયા જેવી નજીવી રકમ માટે નારાજ કરે અને તેમની હાજરી વગર મધુકર સરખા સુયોગ્ય યુવકનું લગ્ન થવા દે એ તેને અશક્ય લાગ્યું.

પરંતુ અશક્ય વસ્તુઓ શક્ય બને છે એ તે જાણતો હતો. માતાપિતા પણ મમતે ચઢે અને સાસુસસરો પણ મમતે ચઢે અને વરરાજા માટેની ખંડણી ન આપે, તોય લગ્ન તો થવા દેવું જ જોઈએ. એવે પ્રસંગે તે પ્રેમવીરત્વ અને પ્રેમભોગની વાત આગળ કરી શકે ! વળી… પરણતાં બરોબર… પત્ની મરી જ જાય એમ થવું એ લગ્નની આંકડાશાસ્ત્રીની તપાસ અંગે શક્ય બનતું નથી. અઠવાડિયું, એક માસ, બે માસ તો પરિણીતા મોટે ભાગે જીવતી રહે જ. અને એ મુદ્દત દરમિયાન પત્નીની આખી મિલકત પોતાને કબજે લેવામાં બાહોશ પતિને કોઈ પણ જાતની હરકત ન આવે તેવી મધુકરની ખાતરી હતી.

ઝડપથી તેણે વિચાર કરી લીધો. લગ્નની તારીખ મુકરર થવા દેવી;