પૃષ્ઠ:Snehashristi.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪:સ્નેહસૃષ્ટિ
 

‘શું કહે છે એ ?’

‘એ મને મુબારકબાદી આપે છે, અને હું એને પૂછું છું કે તે મને સાચી મુબારકબાદી આપે છે કે ખોટી.’

‘શો જવાબ તેણે આપ્યો ?’

‘જવાબ માટે એમ કહે છે કે મારે સુરેન્દ્રને પૂછી જોવું.’

‘જ્યોત્સ્ના ! આપણાં લગ્ન સાથે સાથે સુરેન્દ્ર અને શ્રીલતાનાં લગ્ન થઈ જાય તો કેવું સારું ?’ મધુકરે કહ્યું.

‘તું પ્રયત્ન કેમ કરી જોતો નથી ?’

‘હમણાંનો તો સુરેન્દ્ર કદી દેખાતો નથી.’

‘તું જાણે છે, હમણાં એ ક્યાં રહે છે તે ?’

‘ના. એને ઘેર રહેતો હશે ને ? એની આટલી બધી સેવામાં વળી એની માતાની સેવા એને માથે પડી જ છે ને !’

‘હું જાણું છું હમણાંનો એ ક્યાં રહે છે તે !’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘ક્યાં રહે છે એ ?’

‘એક સાધુના અખાડામાં !’

‘પછી તો શ્રીલતા પણ એની સામે નહિ જુએ !’ મધુકરે કહ્યું.

‘આમ મિત્રોના ભાવિનો વિચાર કરતાં લગ્નતત્પર મધુકર અને જ્યોત્સ્ના છૂટાં પડ્યાં. બીજે દિવસે કુમકુમપત્રિકાઓ આવી ગઈ અને તે હજારોની સંખ્યામાં ટપાલે ઝીલી પણ લીધી. હવે વર્તમાનપત્રોમાં પણ ત્રીજે દિવસે સમાચાર આવ્યા. ચોથે પાંચમે દિવસે લગ્નની અને લગ્નસમારંભની તૈયારીઓ શરૂ થઈ ગઈ. અને સાતમે દિવસે તો રાવબહાદુરના બંગલામાં શરણાઈઓના શૂરથી પ્રભાત ઊગી ચૂક્યો; અવરજવર વધી પડી. ચોરી બંધાઈ, મોઢ મંડપો બંધાયા, ખુરશીઓ નંખાઈ ગઈ. ફૂલહારના ઢગ વળી ગયા અને અત્તરગુલાબના ગુબ્બારા ઊડવા લાગ્યા. પાનબીડાનો તો પાર હોય જ નહિ.