પૃષ્ઠ:Snehashristi.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦:સ્નેહસૃષ્ટિ
 

‘જ્યોત્સ્ના ! આ શું કરે છે? મને બહુ લાગે છે.’

‘કન્યા કાંઈ બોલી નહિ. પરંતુ તેણે મધુકરના હાથને વગાડવાનું કામ ચાલુ રાખ્યું હોય એમ લાગ્યું. મધુકરે ફરી કહ્યું :

‘જ્યોત્સ્ના ! હવે બસ. શ્રીલતાનું વેર તારે વાળવાની જરૂર નથી.’

‘આ વેર જ્યોત્સ્ના નહિ પણ શ્રીલતા જ વાળે છે, મધુકર !’ કન્યાના ઘૂમટા પાછળથી એક મીઠો પરંતુ દૃઢ ઉચ્ચાર આવ્યો.

‘એટલે?’ મધુકરે જરા હાથ હલાવી સહજ છંછેડી નાખી કહ્યું.

‘હજી પૂછવું પડે છે? સમજ્યો નહિ?’

‘શું સમજવાનું ?’ મધુકરે સહજ ચમકીને પૂછ્યું.

‘સમજવાનું એટલું જ કે તારાં લગ્ન જ્યોત્સ્ના સાથે નહિ પણ શ્રીલતા સાથે થાય છે !’

મધુકરે એકાએક હાથ ખેંચી લીધો, એટલું જ નહિ પણ ખેંચેલા હાથે તેણે આખી બેઠેલી મંડળીને આશ્ચર્ય ઊપજે એવી ઘેલછા કાઢી ઘૂમટાવાળી કન્યાનો મૉડ અને ઘૂમટો બળપૂર્વક ખસેડી નાખ્યા : જે ખસેડવામાં કન્યાએ પણ તેને હરકત કરવાને બદલે સહાય કરી !

અને લગ્ન થયેલી કન્યા જ્યોત્સ્ના નહિ પણ શ્રીલતા તરીકે આખા સમારંભ સમક્ષ જાહેર થઈ !

‘દગો, દગો ! રાવબહાદુર ! તમે દગો કર્યો છે. યશોદાબહેન ! તમે પણ !’ મધુકર પોકારી ઊઠ્યો. અને રાવબહાદુર તથા યશોદાબહેન પણ પરણી ચૂકેલી યુવતીને શ્રીલતા તરીકે ઓળખી ચમકી ઊઠ્યાં ! મધુકર ઊભો થઈ ગયો.

‘રાવબહાદુરનું નામ ન લઈશ; યશોદાબહેનનું નામ ન લઈશ ! દગો કોઈએ કર્યો નથી, પરંતુ તારા દગાને અટકાવ્યો છે. સાચો દગાબાજ તું જ છે !’ શ્રીલતાએ પણ ઊભાં થઈ જઈ ખુલ્લા મુખે મધુકરને જવાબ આપ્યો. અને જ્યોત્સાને બદલે પોતે મધુકર સાથે પરણી ગઈ તેમાં તેને જરાય સંકોચ લાગ્યો હોય એમ દેખાયું નહિ.

‘એટલે ? તું શું કહેવા માગે છે, અને છેતરીને ?’ મધુકરે સામે ઉશ્કેરાઈને કહ્યું.

મહેમાનોમાં અને સંબંધીઓમાં હોહા થઈ રહી.

‘તને છેતર્યો હોય એમ લાગતું હોય તો હું અત્યારે જ તને છૂટાછેટા આપવા તૈયાર છું. તારા જેવા યુવકોને આવી જ ફજેતીએ પહોંડવા જોઈએ