પૃષ્ઠ:Snehashristi.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્નેહની અનોખી સૃષ્ટિઃ ૨૮૩
 

તું ત્યાંથી છૂટી કેમ થઈ શકી ?’ સુરેન્દ્રે પૂછ્યું.

‘બધું સામધામ પાર ઊતરશે તો હું નહિ, પણ શ્રીલતા અને મધુકર પરણી જશે ! મારે તો મધુકર સાથે પરણવાનું હોય નહિ ને ?’ જ્યોત્સ્નાએ ધીમે રહીને સાદડી ઉપર સ્વસ્થતાપૂર્વક બેસીને કહ્યું. સુરેન્દ્ર પણ નીચે બેઠો અને બેસતાં બેસતાં તેણે કહ્યું :

‘પરંતુ કંકોત્રી, જાહેરાત, આમંત્રણપત્રિકા, એ બધું જ તારા લગ્નની જ જાહેરાત કરતું હતું - અને તે એક અઠવાડિયાથી. પછી આ શું ? તું શું કહે છે ?’

‘એ જાહેરાત મેં નહોતી કરી. મારાં માતાપિતા અને મધુકરે કરી હતી.’ જ્યોત્સ્નએ સહજ હસીને કહ્યું.

‘પણ મારી આમંત્રણ પત્રિકામાં તો તેં તારે હાથે એમ પણ લખ્યું હતું કે તું આ પ્રસંગે મારે માટે કાર મોકલીશ.’ સુરેન્દ્રે કહ્યું.

‘કાર આવી જ છે.’

‘પરંતુ તું કેમ આવી શકી ?’

‘મેં વધારામાં શું લખ્યું હતું તે પૂરું વાંચ્યું દેખાતું નથી. મેં એમ પણ લખ્યું હતું કે બનશે તો એ વખતે હું જ તને લેવા આવીશ. પૂરું વાંચતો પણ નથી શું ?’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘મારા મનમાં કે તે મને સારું લગાડવા વિવેક કર્યો છે. પણ તું જાતે આવી પણ ખરી. અને નવી વાત લાવી પણ ખરી. ખરેખર નવી, કલ્પનામાં પણ ન આવે એવી !’

‘હું નવી વાત લાવી નથી. એની એ જૂની વાત લઈને આવી છું. તારી કલ્પનાનાં તેજ ઘટતાં જાય છે શું ?’

‘શી વાત ? કઈ જૂની વાત ? તું સતત મને ગભરાવતી જ રહી છો !’

‘એ વાત... એમ... કે... તારી હા હોય તો હું અને તું બન્ને લગ્ન કરીએ. અને અહીં સાધુને અને મારે ઘેર જઈ માતા-પિતાને પગે લાગીએ.’

‘જ્યોત્સ્ના ! હજી આવું જોખમ વહોરવું છે ?’

‘સુરેન્દ્ર ! તારે માટે હું ગમે એટલાં જોખમ ખેડીશ - ગમે ત્યાં સુધી !’ જ્યોત્સ્નાએ કહ્યું અને આ વિચિત્ર યુગલને એકલાને જ વાત કરવાનો મોકો મળે એ માટે ભજનિક કુટુંબ અને સાધુજન એકાએક ત્યાંથી ઊઠી પોતપોતાને કામે લાગી ગયાં. છતાં સહુના કાન આ બન્ને વિચિત્ર વ્યક્તિઓની વાતચીત જરૂર સાંભળી રહ્યા હતા.