પૃષ્ઠ:Snehashristi.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૬:સ્નેહસૃષ્ટિ
 

બની હું આ બધું કહેતી નથી. હવે તારું પણ એ જ મારું પણ.’ જ્યોત્સ્નાએ કહ્યું. અને સુરેન્દ્ર એક શબ્દ પણ બોલ્યા વગર જ્યોત્સ્નાની સામે જોઈ રહ્યો.

જ્યોત્સ્નાની સામે જોતાં જોતાં તેણે મન ઉપર સંયમ સાધ્યો. તેને પોતાને જ લાગ્યું કે કદાચ જ્યોત્સ્નાએ સુરેન્દ્રના સરખી પ્રતિજ્ઞા અત્યારે ન લીધી હોત તો... કદાચ... તેના હૃદયે... અરે, તેની વાણીએ...જ્યોત્સ્ના સાથે લગ્ન કરવાની હા પાડી દીધી હોત ! પ્રતિજ્ઞાભંગમાંથી આ નવયુગની વીરાંગનાએ તેને બચાવી લીધો હતો ! જ્યોત્સ્ના ક્યારની જોઈ શકી હતી કે સુરેન્દ્રની આંખમાં એક એવી ઘેલછા ઉત્પન્ન થઈ હતી કે જે સુરેન્દ્રને જ્યોત્સ્નાના પગ પકડવા પ્રેરે, હાથ પકડ્યા પ્રેરે અગર આખા દેહને બાથ ભરી લેવા પ્રેરે ! સ્ત્રી જ એ પુરુષઘેલછાને ઓળખી શકે છે. જ્યોત્સ્નાએ આગળ કહ્યું :

‘તો સુરેન્દ્ર ! ચાલ, જરાય મારો ભય રાખ્યા વગર હું અને તું બંને કામે લાગીએ. પહેલું કામ તો એ કે મધુકર અને શ્રીલતાને આપણે બંને જણ જઈ અભિનંદન આપીએ.’

‘પરંતુ તારું શું થશે? તારાં માતા-પિતા તને શું કહેશે?’ સુરેન્દ્રે કહ્યું.

‘એની તું ચિંતા ન કરીશ. પિતાની કારમાં આજ હું છેલ્લી બેસું છું. જે ધન સહુનું નહિ તે મારું નહિ.’

થોડી ક્ષણે યંત્રવત્ સુરેન્દ્ર ઊભો થયો. તેણે સાધુની પાસે જઈ નમસ્કાર કર્યા અને કહ્યું: ‘મહારાજ ! હું જરા કલાકેક જઈ આવું... મારાં પરિણીત મિત્રોને અભિનંદન આપવા. પછી હું અહીં જ આવું છું...આપણે ગરીબી ટાળવાની મારી યોજના વિશેની અધૂરી ચર્ચા પૂરી કરીશું...’

‘ફત્તેહ કર, દીકરા ! હવે ચર્ચાની જરૂર નથી. યુવક અને યુવતીના આવા ભોગ જ્યાં અપાતા હોય ત્યાં ચર્ચા ચાલે જ નહિ. છતાં... જતે જતે.... સમય હોય તો તારી માતાને કહેતો જજે કે તારા પિતા જડ્યા છે.અને પોતાના પુત્રમાં જીવનની સફળતા પિતાએ સાધી લીધી છે.’ સાધુની આંખમાં એક ક્ષણભર પાણી ચમકી ગયું.

સુરેન્દ્રે બીજું આશ્ચર્ય આજ નિહાળ્યું ! દેશસેવાની ધૂનમાં જીવનને નિષ્ફળ ગયેલું માની અદૃશ્ય થયેલા તેના જ પિતા સાધુ સ્વરૂપે તેની જ સામે ઊભા હતા શું ? આશ્ચર્ધદગ્ધ સુરેન્દ્રે પૂછ્યું :