પૃષ્ઠ:Snehashristi.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્નેહની અનોખી સૃષ્ટિઃ ૨૮૭
 

‘આપ શું કહો છો ?’

‘તેં જે સાંભળ્યું તે જ ! તારા જ સરખી તેજસ્વી યુવતીની સાથે સાથે તને આગળ કદમ માંડતો જોઉં એ મારી સિદ્ધિ. હવે હું અહીંથી કંઈ જઈશ નહિ. તારી માતાને કહેજે કે તારા સરખો પુત્ર આપીને એણે મારી નિષ્ફળતા દૂર કરી છે... અને દીકરી જ્યોત્સ્ના ! તું પણ તારાં માતા-પિતાને કહેજે કે તેમના સુખમાં જ સુખી થનાર તેમનો બાલમિત્ર તારા સરખી તેજસ્વી પુત્રીનાં માતા-પિતાને મુબારકબાદી આપે છે...’

‘તેં... આ સુરેન્દ્રના પિતા તો નથી? એનું અને મારું નાનપણ યાદ કરાવનાર મારા પિતાના આપ મિત્ર...’

‘પૂર્વાશ્રમ જતો કરજે, બહેન ! મારો અને તારાં માતાપિતાનો !....હવે પાછો હું... થાકેલો તાજો થાઉં છું અને વિશ્વની ગરીબી ટાળનાર સાધુઓની વણજારમાં સામેલ થઈ જાઉ મારું સાધુપણું મૂકીને, મારું ગુરુપણું મૂકીને - અને યૌવનનું શિષ્યપદ સ્વીકારું !’

જવું... ન જવું એમ ડગમગતો વિચાર કરતાં યુવક-યુવતીને માથે સાધુએ હાથ મૂક્યો અને તેઓ હસ્યા.

જ્યોત્સ્ના અને સુરેન્દ્ર બન્ને સહજ શરમાઈને ધીમે પગલે મંદિરથી બહાર નીકળ્યાં. જ્યોત્સ્નાએ સુરેન્દ્રને પોતાની સાથે કારમાં બેસાડ્યો અને પોતે કારનું યંત્ર હાથમાં લઈને બેઠી. ક્ષણભર સુરેન્દ્રને થયું કે સાધુને સાથમાં લઈ ઘેર ઉતારે. પરંતુ અનેક પ્રબળ આશ્ચર્યો વચ્ચે એ વિચારને નિશ્ચયમાં મૂકતા પહેલાં કાર ચાલવા લાગી.

સાધુના મનમાં વિચાર આવ્યો : ‘હવે માનવવિશ્વમાંથી ગરીબી યંત્રની ઝડપે દૂર થશે.’

અને ખરેખર કારમાં કોઈ અજબ વેગ આવી ગયો. બે જીવંત માનવી - એક યુવતી અને એક યુવક - ઝડપી વાહનમાં બેઠાં હતાં !... અને વધારામાં એ વાહનનું સુકાન એક તેજસ્વી યુવતીના હાથમાં હતું !...

એ ક્યાં જતાં હતાં ? પરણવાં નહિ ! પરણનારની સ્નેહસૃષ્ટિને અભિનંદન આપવા ! છતાંય એમનીયે સ્નેહસૃષ્ટિ આકાર લેતી નહિ હોય એમ કેમ કહેવાય ? સંયમ કયો આકાર સૃષ્ટિને આપે ?