પૃષ્ઠ:Snehashristi.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬:સ્નેહસૃષ્ટિ
 

રહ્યું?

એકાએક ધીમે ધીમે જતી એક ગાડી તેણે જોઈ. મુક્તિવાદની ઈચ્છાવાળાને જાણે સ્વર્ગનું વિમાન મળ્યું હોય તેવો આનંદ મધુકરને થયો. તેણે ગાડી ઊભી રખાવી અને એકદમ ઝડપથી મારતે ઘોડે રાવબહાદુરના બંગલા તરફ જવા ગાડીવાળાને જોરભરી આજ્ઞા કરી.

કપડાં ઉપરથી માણસની કિંમત કરનાર ગાડીવાળાએ મધુકરનો હુકમ માન્ય રાખ્યો. સારી બક્ષિસ મળશે એવી આશામાં ઘોડાને ઠીક ઠીક ગરમી આપ્યે રાખી અને ભાગ્યે જ અંગીકાર કરેલી ઝડપ અત્યારે ઘોડાએ પણ અંગીકાર કરી લીધી. મધુકર ઘડિયાળ જોતો જતો હતો. એક મિનિટ પણ મોડા પડવું એ વર્તમાન દુનિયાને જરા પણ પોસાય એમ નથી એમ મધુકર જાણતો હતો. જોકે ઉતાવળ કરીને, કડીતોડ વખત સાચવીને આજની દુનિયા કોનું સુખ વધારે છે એ પ્રશ્ન દુનિયાને કે સમયને પૂછવાની જરૂર કોઈને દેખાતી નથી ! તેના મનમાં આશા હતી કે તે પાંચસાત મિનિટ વહેલો પહોંચે તો જ્યોત્સ્નાને મળી શકે, તેની પાસેથી પૂર્ણ હકીકત જાણી શકે. અને બની શકે એટલે તેની સહાનુભૂતિ તે જીતી શકે. આમ જ્યોત્સ્ના ભાગ્યે જ પુરુષમિત્રોને પોતાને ઘેર બોલાવતી. કદી ચા ઉપર બોલાવવાની વારાફરતી માથે પડતી મિત્ર ફરજ બજાવવાનો જ્યોત્સ્નાને પ્રસંગ આવતો ત્યારે તે ઘણુંખરું પોતાની કોઈ બહેનપણી મારફત સારા વિશ્રાંતિગૃહમાં આગળ બાગબગીચા જેવા સ્થળમાં ગોઠવણ કરી લેતી. છતાં એકબે વખત મધુકરને જ્યોત્સ્નાના બંગલામાં જવાનો મિત્રો સાથે મોકો મળ્યો જ ન હતો એમ તો ન જ કહેવાય. જ્યોત્સ્ના બહુ જ ઠંડી હતી, ઝડપથી જવાબ આપે એવી હતી જ નહિ અને તેણે રમતગમતમાં કે અભ્યાસમાં મધુકરને સહવાસ કેળવવાનું મન થાય એવું કશું જ ઉત્તેજન આજ સુધી આપ્યું ન હતું. પરંતુ મધુકર માનતો હતો કે આ તો જ્યોત્સ્નાનો સર્વસામાન્ય ગુણ જ હતો - કે દોષ હતો. એની ઊર્મિશિથિલતા માટે એની બહેનપણીઓ પણ ફરિયાદ કરતી જ હતી. કદી કદી તેને અને સુરેન્દ્રને સાથે જોયાં હોય એવો ભાસ મધુકર સરખા યૌવન-પરીક્ષકને ન થાય એમ તો ન જ કહેવાય. પરંતુ એમાં માત્ર સુરેન્દ્રની સારા વિદ્યાર્થી તરીકેની કીર્તિ અને તેની ભલમનસાઈની ઘેલછા જ કારણરૂપ હોય તેમ એ માનતો. એટલે ગઈ કાલે સુરેન્દ્ર તરફ તેણે દેખાડેલું પક્ષપાતભર્યું વલણ કારણ વગરનું જ હશે એમ તેણે માની લીધું. અને કારણ હોય તો મધુકર હવે જાતે જ ક્યાં જ્યોત્સ્નાના બંગલા તરફ જતો ન હતો કે જેથી જરૂર પડે જ્યોત્સ્નાને જીતવાનો માર્ગ મોકળો ન થાય !