પૃષ્ઠ:Snehashristi.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮ : સ્નેહસૃષ્ટિ
 

મધુકરે સિસોટીમાં સરસ ઢાળવાળું ગીત ગાતે ગાતે ઘડિયાળમાં નજર નાખી કપડાં પહેરવા માંડ્યાં. માને ચા બનાવવાનો હુકમ કર્યો અને જોકે પાંચ વાગવાને વાર હતી છતાં રાવબહાદુરને બંગલે વહેલા પહોંચી જવાનો વિચાર કર્યો. શા માટે નહિ ? લેખકે ભલાભાઈનું પુસ્તક રાવબહાદુરના લેખનખંડમાં જ મૂક્યું હતું. ત્યાં જઈ પુસ્તક વહેલું વાંચી રાવબહાદુર ઉપર વધારે છાપ પાડવાની સગવડ એમાંથી ઊભી થાય એમ હતું.

અને જ્યોત્સ્નાએ સવારે મળવાની તેને કેમ ના પાડી હતી એની સ્પષ્ટતા પણ મેળવી લેવાય !

ચા પીતે પીતે માતાને રાજી કરી મધુકર રાવબહાદુરને બંગલે જવા નીકળ્યો. નિયમિતપણું સહુ માલિકોને ગમે. નિયમિતપણાને સ્પષ્ટ કરતા બે માર્ગ : એક વહેલાં જઈને અને બીજો મોડાં પાડીને. વહેલાં થઈને નિયમિતપણું તોડનાર નોકર હોય તો તે પોતાની તરફેણમાં વાતાવરણ ઊભું કરે છે.

મધુકર પાંચને બદલે ચાર વાગ્યે રાવબહાદુરને બંગલે પહોંચી ગયો. એક ભણેલોગણેલો મોટો નોકર - સાહેબની પાયરીનો - ઘરમાં આવ્યો હતો. એની આખા ઘરમાં ખબર પડી ગઈ હતી. મુલાકાતના ખંડને ઉઘાડી લેખનખંડમાં નાના નોકરોએ મધુકરનો પ્રવેશ કરાવ્યો. ધનવાનો બપોરે જરા આરામ કરે છે. આરામ પછી ચા પીએ છે અને પાંચેક વાગ્યે સાંજનો તેમનો દિવસ ઊગે છે. મધુકરે બેસીને ભલાભાઈ લેખકના પુસ્તકને ઊથલાવ્યું. બેચાર અંગત નહિ એવા કાગળો જોઈ તેના જવાબો પણ તૈયાર કરી નાખ્યા અને પાંચને ટકોરે રાવબહાદુર તથા તેમનાં પત્ની ખંડમાં આવ્યાં ત્યારે મધુકર સમજપૂર્વક તલ્લીન બનીને ભલાભાઈ ઉર્ફે પદ્મરાગ લેખકનાં પુસ્તકના છેલ્લા પાન ઉપર નજર નાખી રહ્યો હતો.

‘ઓહો ! તમે આવી પહોંચ્યા છો ?’ રાવબહાદુરે વખાણની લઢણથી પૂછ્યું.

‘જી.’

‘ક્યારના આવ્યા છો ?’

‘કલાક થયો.’

‘એમ ? અત્યારના જુવાનોમાં નિયમિતપણું બહુ દેખાતું નથી. તમે અપવાદ લાગો છો.’

રાવબહાદુર ઉપર ફરી ચોટ વાગી અને મધુકરે ધારેલી અસર