પૃષ્ઠ:Snehashristi.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેડફાતું વચન : ૫૩
 

હતા, છતાં તેમણે પોતાનો આનંદ ખાસ વ્યક્ત કર્યો ન હતો. પુત્રે કહેલી નોકરીની હકીકતો તેમણે એકબે વાક્યમાં જ સત્કાર કર્યો :

‘સારું થયું તું નોકરીએ લાગ્યો છે. મહિને દિવસે પગારમાંથી તું શું બચાવે છે એ હું જાણીશ ત્યારે તને મુબારકબાદી આપીશ.’

એટલે એ પિતાની સાથે એને બહુ વાત કરવાની તો હતી જ નહિ. પરંતુ માતા તેનાથી બહુ રાજી રહેતી એટલે આવતાં બરોબર તેણે કહ્યું :

‘જો. મા ! આટલું મોડું થાય છે. રાવબહાદુર અને તેમનાં પત્ની મને જલદી છોડતાં જ નથી.’

‘સારું થયું, સારા માણસોનો સંગ ફળદાયક હોય છે. ભલે મોડું થાય; પણ એમને નારાજ ન કરતો.’

‘મારે લીધે તને જમવામાં વાર થાય છે, નહિ ? મને તો યશોદાબહેને એમને ઘેર જ જમી લેવાનું કહ્યું.’ મધુકરે પોતાનું મહત્ત્વ વધાર્યું.

‘તો હવે જા, ઉતાવળ કર. કોઈ બહેન તારી રાહ જુએ છે, તારા ખંડમાં… ક્યાંથી આવાં લફરા લઈ આવે છે તું ? માએ છેલ્લું વાક્ય બહુ ધીરે રહીને અને સહજ હસીને કહ્યું.

‘કોણ આવ્યું છે, મા ?’ મધુકરે પૂછ્યું.

‘નામ કહ્યું નહિ, પણ તને મળવા માટે બેસવાની હઠ લીધી. બાકી મેં તો કાલ સવારે આવવાનું કહ્યું હતું.’

મધુકર પોતાના ખંડમાં ગયો અને સફાઈદાર વસ્ત્રોમાં સજ્જ થઈને બેઠેલી શ્રીલતાને જોઈ તે સહજ આશ્ચર્ય પામ્યો. આશ્ચર્યમાં જ તેણે પૂછ્યું :

‘શ્રીલતા ! તું ક્યાંથી ? બહુ દિવસે ? અને આમ અચાનક ?’

‘તું મળે નહિ એટલે દિવસો બહુ જ થાય. અને રસ્તામાં મારી સાથે તને બોલવું ગમે નહિ એટલે મને એમ લાગ્યું કે હું તારે ઘેર આવીને જ તને મળું.’ શ્રીલતાએ કહ્યું.

‘શી વાત કરે છે તું, શ્રીલતા ? તું રસ્તામાં મળે અને હું તારી સાથે ન બોલું ?’ સામે આરામથી બેસવાનો ડોળ કરી મધુકર બોલ્યો.

‘હા. રસ્તામાં મેં તને જોયો; તેં મને જોઈ; મેં તને બૂમ પણ પાડી. પરંતુ તું જુદે જ રસ્તે સંતાઈ ગયો. ખરું કે નહિ ?’ શ્રીલતાએ મધુકરની સામે જોઈને કહ્યું.

‘હું તને જોઉ અને તને મળ્યા વગર જાઉ એ કદી બને ખરું ?’

‘હા, આજે બન્યું. અને હમણાં એવું, એવું બનતું જાય છે કે તને મળવું એ મને ઠીક લાગ્યું.’