પૃષ્ઠ:Snehashristi.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેડફાતું વચન : ૫૫
 

એકાએક મધુકરે પોતાનો હાથ શ્રીલતાને ખભેથી લઈ લીધો. બારણામાં જ મધુકરનાં માતુશ્રી પુત્રને બોલાવવા અને યુવતી સાથેની એકાંત વાતનો અંત લાવવા માટે આવતાં હતાં. હજી ઘરનાં વડીલો દેખતાં પ્રેમઅભિનય કરવાની કક્ષાએ મધુકર પહોંચ્યો ન હતો. અને શ્રીલતા હજી તો પરાઈ છોકરી હતી.

પરંતુ માતાની ચકોર આંખે એ દૃશ્ય અદીઠ તો ન જ રહ્યું. શ્રીલતા અને મધુકર ઘરની બહાર આવ્યા અને રાત્રિ હોવાથી મધુકરે ફક્ત પૂછ્યું :

‘શ્રીલતા ! હું મૂકી જાઉ તને ?’

‘ના; હું એકલી જઈશ.’ કહી શ્રીલતા મધુકર સામે જોયા વગર ચાલી ગઈ.

મધુકર ઘરમાં આવ્યો એટલે માતાએ પૂછ્યું :

‘કોણ હતી એ છોકરી ?’

‘છે એક છોકરી. ભણી રહેવા આવી છે. ભણવામાં મારી મદદ માગે છે… ઠીકઠીક પૈસો છે… રાવબહાદુરને ત્યાં દાખલ થયો ન હોત તો મારે એને શીખવવા જવું પડત.’

‘પરણેલી છે એ છોકરી ?’

‘ના, મા !’

‘તે આમ એકલી એકલી રાત્રે રખડ્યા કરે છે ?’

‘હજી તો નવ જ વાગ્યા છે, મા ! અહીંથી હજી એ સિનેમા જોવા પણ જાય…અત્યારની ભણેલી છોકરીઓ ભારે હિંમતવાળી ! કોઈથી પણ ડરે નહિ.’

‘એ તો મને લાગ્યું જ. તેં ખભે હાથ મૂક્યો તોય એને કાંઈ લાગ્યું નહિ… ચિબાવલી કહીંની !’ માતાએ પોતાની દૃષ્ટિ અને અણગમાની સચોટતા દર્શાવ્યાં.

‘બા ! દુનિયા એટલી ઝડપથી આગળ વધે છે કે…’

‘એ જે થતું હોય છે. આપણે એ ઝડપે જવાની જરૂર નથી.’ ઓછું ભણેલી માતાએ આચારવિચારની ઝડપી પ્રગતિ વિશે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. ભણેલી સુધરેલી કહેવાતી માતાઓ પણ પોતાના પુત્રનો નીતિમાર્ગ કડક આંખે જુએ છે. મધુકરની માતા સુધરેલાં કહેવાય એટલું ભણ્યાં ન હતાં.

‘અને જો ! પસંદગીની વહુ લાવે તોય આપણા ઘરમાં સમાય એવી