પૃષ્ઠ:Snehashristi.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬:સ્નેહસૃષ્ટિ
 

લાવજે” વધારામાં માતાએ કહ્યું.

‘હજી કમાવા તો દે… પછી આ બધી વાત છે ને ?’ મધુકરે માને મુદત આપી.

‘ભલું પૂછવું અત્યારનાં છોકરા છોકરીનું !… અને આ તો, બાપ ! શી જબરી છોકરી હતી !… કહ્યું કે મધુકર નથી. તોય એ તો બેઠી જ… આટલી રાત્રે… કહે કે મળીને જ જવું છે !… શી સાડી ઉરાડતી ચાલે છે ! એની સાડીનો સઢ આપણા ઘરમાં ન માય દીકરા !’ માતાએ બહુ જ સ્પષ્ટતા કરી… પુત્રે આપેલી અસ્પષ્ટ ખાતરીને ગણકાર્યા વગર.

પરંતુ પુત્રે માતાને બાંયધરી આપી :

‘મા ! હું તને ખાતરી આપું છું. પરણીશ તોય આ છોકરીને તો નહિ જ. પછી કાંઈ ?’

પુત્રના લગ્નની વાત માતાઓને તો બહુ જ ગમે છે. મના કરીને પણ પુત્રના લગ્નની કલ્પનામાં માતા રાચે છે. પોતાના ઘરમાં કેવી કન્યા શોભે, કન્યાને પોતે કેવી કેળવણી આપી ઘરરખુ બનાવશે. ધર્મકાર્ય અને સ્વચ્છતાના પાઠો સાસુ તરીકે કેવી ઢબે પઢાવશે, અને બાળઉછેર માટે અણઆવડતવાળી વહુને સાસુ કેમ માર્ગદર્શન કરશે, એ સંબંધી રસભરી વિગતો પુત્રને જમાડતાં માતાએ કરી. લગ્ન સાથે લગ્નના અનિવાર્ય પરિણામ સરખા સંતાનને પણ યાદ કરી રહેલી માતાની વાતચીત નીતિપ્રેરક ગણી શકાય કે કેમ એ વિચાર કરતા મધુકરે ક્યારનોયે અંતિમ નિશ્ચય નીતિના સ્વરૂપ વિશે કરી જ લીધેલો હતો. નીતિ એટલે ? સફળતા અપાવે એ માર્ગ તે નીતિ ! તત્કાલીન સંજોગોનો ઝડપી અને લાભકારક ઉકેલ આપે એનું નામ નીતિ !

અને કોઈ નિર્બળ ક્ષણે શ્રીલતાની ચમકથી મોહ પામી તેને પ્રેમનું, લગ્નનું અને સહચારનું વચન આપી ચૂકેલો મધુકર તે ક્ષણની ધૂનમાં વચનને દૃઢ કરવા એક સુંદર વીંટી પણ પહેરાવી ચૂક્યો હતો !

હવે એ કાર્યમાં ભૂલ લાગી ! અને શ્રીલતા મધુકરને ભૂલનો ભોગ બનાવે એવી ચીવટવાળી પણ હતી !

સૂતે સૂતે એણે અનેક યોજનાઓ ઘડી. એકે યોજના માફક આવી નહિ. શ્રીલતા એ યોજનાઓમાં ક્યાં તડ પાડી દે એ કહેવાય એમ ન હતું.

અંતે એણે નિશ્ચય કર્યો-

સુરેન્દ્રને દૂર કરવો, જ્યોત્સ્નાથી !