પૃષ્ઠ:Snehashristi.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાર આંખઃ ૬૧
 

થઈને જ લંબાય છે.

‘જ્યોત્સ્નાને બતાવી ?’

‘બતાવીશ… આપની આજ્ઞા હશે તો.’

‘એમાં આજ્ઞા શી ? એને જરૂર ગમશે.’ રાવબહાદુરે કહ્યું.

‘હમણાં વાંચે છે. વધારે… બારણાંયે બંધ રાખીને. સુરેન્દ્ર સિવાય કોઈ પાસે જાય એ હમણાં, આ પરીક્ષાવાંચનના દિવસોમાં એ પસંદ ન કરે એ સ્વાભાવિક છે. એમની ફુરસદ જોઈ હું બતાવીશ.’

‘તમે જાઓ એમાં હરકત નથી. અને તમે તો એના મિત્ર પણ છો.’ પોતાને કોઈના પણ ઉપર વહેમ નથી એવી પ્રગતિશીલતાની છાપ પાડવાના ઘણા માણસોને હોંશ છે.

મધુકરે જ્યોત્સ્નાનાં માબાપની આમ પ્રસન્નતા પણ મેળવવા માંડી, સાથે જ્યોત્સ્ના અને સુરેન્દ્રનો સંબંધ તોડવાનો મોરચો પણ શરૂ કરી દીધો.

કોઈ દિવસ એકાદ મહત્ત્વના વર્તમાનપત્રને રાવબહાદુર સામે મૂકી મધુકર કહેતો :

‘આપના આખા વ્યાખ્યાનને વર્તમાનપત્રોએ આજે ઉતાર્યું છે.’

વર્તમાનપત્રોને એટએટલી વિવિધતા સંઘરવાની હોય છે કે ભાષણકારોનાં આખાં ભાષણો તેઓ ભાગ્યે જ રજૂ કરી શકે. આખું વ્યાખ્યાન વર્તમાનપત્રોમાં કોઈનું આવે તો જાણી લેવું કે એ કોઈ પ્રધાનનું ભાષણ હશે અગર જાહેરખબરના ભાવ આપી પોતાની વાણીને કિંમતી બનાવનાર કોઈ ધનિકનું ભાષણ હશે.

‘એમ ? જોઉં !’ રાવબહાદુર રાજી થઈને પત્ર હાથમાં લેતા.

‘એટલું જ નહિ… આપના વ્યાખ્યાન ઉપર તો અગ્રલેખ પણ આવ્યો છે.’ મધુકરે કહ્યું.

વાણીના ધોધમાર ઉપયોગમાં અગ્રલેખ માગે એવું ભાગ્યે જ ઉચ્ચારણ થતું હોય છે. પરંતુ અગ્રલેખ પણ વર્તમાનપત્રનો મહત્ત્વનો ભાગ ગણાય. કદી કદી કોઈના ઉચ્ચારણને મહાવાક્ય માની એના ઉપર અગ્રલેખરૂપી મીમાંસા અધિપતિઓને લખવી પણ પડે છે. અગ્રલેખ માગે એવો ઉચ્ચાર બહુ થોડાનો જ હોય છે, અને એ મહત્ત્વ જેને મળે તેણે પોતાના આકાશમાં સોનાનો સૂરજ ઊગ્યો એમ જ માનવું જોઈએ. રાવબહાદુરે આજ એમ માની લીધું.

નામના મેળવવી, કીર્તિ મેળવવી, લોકોની દૃષ્ટિ સમક્ષ આવ્યા કરવું અને લોકોની જીભે ચઢી રમવું એ જૂના યુગ જેવું આજ મુશ્કેલ નથી. જૂના