પૃષ્ઠ:Snehashristi.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાર આંખોઃ ૬૭
 

આસવ, ચોખ્ખા ટમાટાનો રસ છે - ગળ્યો નહિ… ખારો ખાટો… પીવા માંડ.’

સુરેન્દ્રે આકાશમાં સ્થિર કરેલી દ્રષ્ટિ ફેરવી જ્યોત્સ્ના ઉપર સ્થિર કરી અને કહ્યું :

‘જ્યોત્સ્ના ! કાંઈ ભૂલ તો થતી નથી ને ?’

‘જરા નવીનતાને ઓળખતો થા હવે. મારા ઉપર વિશ્વાસ રાખ. હું સાચું જ કહું છું, એ ટોમેટો સૂપ જ છે.’

‘એ તો હું જાણું છું.’ કહી સુરેન્દ્રે પણ પ્યાલીમાંથી નાનકડો ઘૂંટડો લીધો.

‘ત્યારે તું બીજી કયી વાત કરે છે ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘મારે સ્પષ્ટતા કરવી પડશે ?’

‘હાસ્તો. તે સિવાય મારી ભૂલ સમજી શકાય કેમ ?’

‘તો હું એમ કહું છું…’

‘કહે તો ખરો ? અટકી કેમ જાય છે ?’ અટકી ગયેલા સુરેન્દ્રની વાણીને વળ આપતાં જ્યોત્સ્ના બોલી.

‘ખોટું ન લગાડીશ… પણ હું એમ પૂછું છું… તારું હૃદય તો… કાંઈ ભૂલ નથી કરતું ને ?’ સહજ અચકાતે અચકાતે સુરેન્દ્રે પૂછ્યું.

જ્યોત્સ્ના એકાએક ઊભી થઈ ગઈ, અડધો રસ - પીધેલી પ્યાલી. એણે ટીપોઈ ઉપર મૂકી દીધી અને સુરેન્દ્ર સામે જોઈ ઠપકો આપતાં તેણે કહ્યું :

‘તને જોઈ કોઈનાં હૃદય વાંચતાં આવડ્યાં હોત તો…’

‘તો શું થાત ?’

‘તું તારી આસપાસ વૃન્દાવન રચી શક્યો હોત !’ જ્યોત્સ્ના બોલી અને સુરેન્દ્રની સામેથી એણે દૃષ્ટિ ખસેડી લીધી. સુરેન્દ્ર પણ દૃષ્ટિ ફેરવી રહ્યો હતો. થોડી ક્ષણ એને પણ શો જવાબ આપવો તેની સમજ પડી નહિ. પછી જવાબ આપતાં સુરેન્દ્રે કહ્યું :

‘વૃન્દાવન કોણ રચી શકે એ તું જાણે છે, જ્યોત્સ્ના ?’

‘મેં તો તારું નામ દીધું… તને એ નામ ન ગમતું હોય તો બીજું નામ દે… માત્ર મધુકરને સંભારીશ નહિ.’

‘વૃન્દાવનની રચના તો મધુકરે નહિ, હુંયે નહિ અને કોઈએ કરી શકે નહિ, એ કરી શકે માત્ર કૃષ્ણ… બાલબ્રહ્મચારી… યોગેશ્વર.’

‘તું કૃષ્ણ છે કે નહિ એની મને ખબર નથી… ઘણું કરીને તું નથી જ.’