પૃષ્ઠ:Snehashristi.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાર આંખોઃ ૬૯
 

ત્રીજો પ્રહર વીતી ગયો હતો. સુરેન્દ્રની જરાય ઈચ્છા ન હતી કે જ્યોત્સ્ના એની સાથે આવે. અને એની આંખમાં એ નામરજી સ્પષ્ટ દેખાઈ આવી.

‘મારા ઘરની હદ સુધી તો મને આવવા દઈશ ને ?’ હસીને જ્યોત્સ્નાએ પૂછ્યું. અને બન્ને જણ અભ્યાસખંડમાંથી બહાર આવ્યાં.

એકાએક સામે મધુકર ઊભેલો દેખાયો. જાણે આશ્ચર્ય પામ્યો હોય એમ એણે પૂછ્યું : ‘ક્યાં જાઓ છો બન્ને જણ ?’

‘મધુકર ! તું કેમ મારા ઉપર હમણાંનો પહેરો રાખે છે ?’ જ્યોત્સ્નાએ અણગમતું હસીને પૂછ્યું.

‘પહેરો ? તારા ઉપર ?… તું સુરેન્દ્ર સિવાય કોઈને તારા ખંડમાં આવવા જ ક્યાં દે છે ?’

‘આ તું અત્યારે જ આવી શક્યો ને ? કોણે તને રોક્યો ? બોલ, કેમ આવવું થયું… મારે જરા કામ છે…’

‘રાવબહાદુરે આ બધી છબીઓ અને લેખ તારે માટે મોકલ્યાં છે. મારે તને બતાવવા પડશે.’ મધુકરે કહ્યું.

‘મૂકી જા. હું આવીને જોઈ લઈશ.’

‘પણ… તારે તો અમારી બધાંની સાથે આવવાનું છે.’ એ કહેવા મને મોકલ્યો છે.

‘આજ નહિ.’

‘મારે સુરેન્દ્રની સાથે જવું છે.’

‘ક્યાં ?’

‘એ ન પૂછે તો નહિ ચાલે ?’

‘મારે રાવબહાદુરને કહેવું પડશે ને ? યશોદાબહેન પણ તારી રાહ જુએ છે.’

‘કહેજે ને કે મારી કાર લઈ હું ફરવા નીકળી ગઈ છું.’

‘પણ તું તો સુરેન્દ્ર સાથે જાય છે ને ?’

‘સાચું કહું?… માને કે પિતાજીને ન કહેતો… પણ હું જાઉં છું તો સુરેન્દ્રની સાથે જ.’ કહી મધુકરને મૂકી જ્યોત્સ્ના આગળ ચાલી. સુરેન્દ્ર બન્નેને એકલા મૂકી ક્યારનો ધીમે પગે આગળ વધી રહ્યો હતો, તેને જ્યોત્સ્નાએ પકડી પાડ્યો, અને જ્યોત્સ્નાએ પોતાની કાર કઢાવી તેમાં બેસી સુરેન્દ્રને સાથે બેસાડ્યો, શૉફરની એને જરૂર ન હતી. ધનિક માતાપિતાની પુત્રીઓને કાર ચલાવતાં આવડવું જ જોઈએ.