પૃષ્ઠ:Snehashristi.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વૃંદાવન:૭૫
 

આકર્ષણ કલ્પનાને જતી કરી શકતી નથી !

‘એ તો હસે જ ને ? એમની દુનિયામાં આપણાથી ન જવાય અને આપણી દુનિયામાં એમનાથી ન અવાય.’

‘તે તું કાંઈ ખોટો છું, દીકરા ?’

સુરેન્દ્રે દવા પાતે પાતે વૃદ્ધાને સમજાવ્યું કે એ તો એક ધનિક પુરુષનાં દીકરી હતાં. કૉલેજમાં સહજ પરિચય થયો. કાર તેમની જતી હતી એટલે તેમણે કૃપા કરી સુરેન્દ્રને કારમાં બેસાડ્યો હતો.

મોસંબીમાંથી ત્રણ મોસંબીનો રસ પણ સુરેન્દ્ર કાઢ્યો અને દૂર મૂકેલા એક ચાના પ્યાલામાં ભરીને પાયો.

એથી આગળ વધી સુરેન્દ્રે વૃદ્ધાની પથારી સાફ કરી તેને સુવાડી અને થોડી વાતચીત કરી ઝૂંપડીમાંથી જવાની તૈયારી કરી. જ્યોત્સ્ના સમજી શકી : આ વૃદ્ધાની સેવા સુરેન્દ્ર ઘણુંખરું બજાવતો હોવો જોઈએ.

જતે જતે વૃદ્ધાએ સુરેન્દ્રને પાસે બોલાવી કહ્યું પણ ખરું :

‘દીકરા ! લક્ષ્મી ચાંદલો કરવા આવે તો ના ન પાડતો !’

‘મા ! લક્ષ્મીને બેસાડવા મારા ઘરમાં જગા પણ નથી.’

‘ભૂંડા ? તને શી ખબર કે લક્ષ્મી અને લલના તો ધારે ત્યાં પોતાની જગા કરી લે !’ કહી વૃદ્ધાએ આરામ લેવા આંખ મીંચી. બંને જણ ઝૂંપડીની બહાર નીકળ્યાં.

જ્યોત્સ્નાએ વૃદ્ધા તથા સુરેન્દ્ર વચ્ચેની શબ્દો શબ્દ વાતચીત સાંભળી હતી. બહાર નીકળી જ્યોત્સ્નાએ હસીને સુરેન્દ્રને કહ્યું :

‘સુરેન્દ્ર તારા વૃન્દાવનમાં હજી લગ્નનો શોખ છે ખરો !’

‘બીજા વૃન્દાવનમાં તો લગ્નનો શોખ પણ ઘટી જાય છે ! લગ્ન તો મર્યાદા ખરી ને ?’ સહજ કરડાકીથી સુરેન્દ્રે કહ્યું.

‘એટલે ? જાતીય આકર્ષણ બધે જ ખરું ને ?’ જ્યોત્સ્ના બોલી.

‘આ સૃષ્ટિમાં હજી લગ્નની મર્યાદામાં આકર્ષણને લવાય છે… બીજી… આપણી ભણેલા અને સંસ્કારી જૂથની સૃષ્ટિમાં તો આકર્ષણને લગ્નની પણ મર્યાદા રહેતી નથી.’ સુરેન્દ્રે કહ્યું.

‘તું શું કહેવા માગે છે એથી ?’

‘કાંઈ જ નહિ, જ્યોત્સ્ના ! હું તો બે સૃષ્ટિનાં વલણને વિચારી રહ્યો છું.’

‘લગ્ન આવશ્યક છે ખરું ?’

‘મને નથી લાગતું… પણ આ વાત જાહેરમાં કરવી એ જોખમ ભરેલું