પૃષ્ઠ:Snehashristi.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
 
કોણ જીત્યું ?
 


જ્યોત્સ્નાએ ચુપ રહેવાની સુરેન્દ્રને કરેલી આજ્ઞા મધુકરે લગભગ સાંભળી લીધી હતી, અને સુરેન્દ્ર સામે જ્યોત્સ્નાએ માંડેલી રીસભરી આંખ હજી રીસના એક વિભાગને જાળવી રહી હતી એ તો મધુકરે પણ જોયું. એને માત્ર એ ખબર ન પડી કે એ આજ્ઞા અને એ રીસનું કારણ મધુકર પોતે જ હતો. મધુકરનું નામ પણ તેને આટલું અણગમતું બની ગયું હશે એની સુરેન્દ્રને ખબર ન હતી; મધુકરને તો ન જ હોય. એટલે પાછલી વાત ન સાંભળનાર મધુકરને તો લાગ્યું જ કે એને ગમતો ઝઘડો જ્યોત્સ્ના અને સુરેન્દ્ર વચ્ચે શરૂ થઈ ચૂક્યો !

જરા મોટાઈ દર્શાવી મધુકરે પૂછ્યું :

‘કેમ ? શું થયું ? શાનો ઝઘડો છે ?’

‘કાંઈ નહિ, મધુકર ! એ મારી અને સુરેન્દ્ર વચ્ચેની વાત છે.’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘તેની હરકત નહિ, પણ મારે સ્પષ્ટતાપૂર્વક કહેવું જોઈએ કે સુરેન્દ્રે એનું વર્તન વધારે સારું રાખવું પડશે - જો એને અહીં ચાલુ રહેવું હોય તો !’ મધુકરે જરા ગંભીરતાપૂર્વક કહ્યું.

‘મધુકર ! તું મને વર્તન વિશે શિખામણ આપે છે ?’ સુરેન્દ્રે જરા હસતાં હસતાં પૂછ્યું.

‘હું ન આપું તો જ્યોત્સ્ના આપે ! તને ચૂપ રહેવાની સૂચના કરવી પડે એટલું બસ નથી ?’ મધુકરે પણ હસતાં હસતાં કહ્યું.

‘મધુકર ! સુરેન્દ્રને કાંઈ પણ કહેવાનો અધિકાર મારી પાસે રહેવા દે. મેં શા માટે એને ચૂપ રહેવા કહ્યું હતું તેનો તને સ્વપ્ન પણ ખ્યાલ આવે એમ નથી.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘મને ખ્યાલ આવી ગયો છે… અને એનો પુરાવો હું હમણાં જ આપું છું… જરા ઝડપથી ચાલ.’ મધુકરે કહ્યું.

‘કેમ ?’

‘તને બોલાવે છે… બંને ! તારાં માતા અને પિતા.’