આ કાવતરું ફેડવું જોઈએ. કંઇ નહિ. હું સુરેન્દ્રદેવનું નામ નહિ લઉં. મને ખબર જ ક્યાં છે? હું તો ચિઠ્ઠી રજૂ કરી દઉં.
સંડાસમાંથી બહાર આવીને એણે ઘોડી પર ફરી સામાન નખાવ્યો.
રકાબ પર એક પગ મૂકે છે તે જ ઘડીએ મહીપતરામે એક ટેલિયા બ્રાહ્મણની ટેલ સાંભળી. મોટા સાદે સવાસો રૂપિયા ટેલ પુકારતો બ્રાહ્મણ નજીક આવ્યો.
“એમ નહિ મા’રાજ!” મહીપતરામે પૂછ્યું: "તમને જ્યોતિષ આવડે છે?“
“હા બાપુ કેમ ના આવડે?”
“હસ્તરેખા?”
“એ પણ.”
“આવો ત્યારે ઘરમાં.”
બ્રાહ્મણને લઈ પોતે અંદર ગયા. જઈને પૂછ્યું: “કાં, જગા પગી!”
બ્રાહ્મણવેશધારીએ કહ્યું: ”ફતેહ કરો. ચાલો ઝટ ચડો.”
“શું થયું?”
“એક પોતે ને બીજા નવ – દસેય જણા બેફામાં પડ્યા છે ચંદરવાની ખેપમાં.”
“બેફામ કેમ?”
“કેમ શું, પેટમાં લાડવા પડ્યા.”
“શેના લાડવા?”
“અમૃતના તો ના જ હોય ને?”
“એટલે?”
“કાંઇક ઝેરની ભૂકી મળી’તી.”
“કોના તરફથી?”
“હવે ઇ તમારે શું કામ? મેં મારા હાથે જ લાડવા ખવરાવી, લથડિયા લેતા જોઇ-કરીને આંહી દોટાવી છે.”
“જગુડા!” મહીપતરામનું મોં ઊતરી ગયું. “ઝેર દીધું?”
“નીકર શું ઝાટકે ને ગોળીએ મારવો’તો તમારે લખમણને?”