પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સંભ્રમ થયો. નવી સદીના ઝગમગતા પ્રભાતમાં સોરઠ આ ગેબી બનાવોનું ધામ હતું, એમાં કોણ માનશે? એના અંતરમાં તો મધ્યયુગની એક રોમાંચક કથા ગૂંથાતી હતી.

રોજ રોજ લોક-ભીડ વધતી ચાલી. પબ્લિક પ્રોસિક્યૂટરની તપાસ-ઊલટતપાસ ઊંઘી જ ગમ પોતાનું જોર પૂરાવા લાગી. ફોજદારો જે બાજી ગોઠવી લાવ્યા હતા તે તો બગડી ગઈ.

ત્રીજે કે ચોથે દિવસે અદાલતમાં ઠઠ જામી હતી. તહોમતદારણના પ્રત્યેક સવાલમાં સાક્ષીઓ થોથરાતા હતા. અમલદારોએ હરએક હંગામ વખતે ડાકટાઈવાળા ગામે જઈ ખુદ લૂંટાનાર વર્ગને જ કેવા ખંખેર્યા હતા તે વાતો ફૂટવા લાગી. બાઈ પૂછતી:

“ત્રિભોવના ફોજદાર, તે તમે રોકડી ગામ ભાંગ્યા પછી કેટલી વારે પોગ્યા? દૂધપાક માટે દૂધ મંગાવ્યું’તું કે નહિ? અમારા ભરવાડ અને ટપુડી રબારણના ભર્યાં બોધરાં ઉપાડયા’તા કે નહિ? દૂધપાક કરવા ગોમટી ગામના કંદોઈને તેડાવ્યો’તો કે નહિ? ને છેલ્લે મકનજી શેઠ પાસેથી દક્ષિણા કેટલી કોથળીની લીધી’તી? વળી બહાવાટિયાએ સામેથી કહેણ મોકલેલું કે, સરોદડની કાંટ્યમાં અમે તમારી વાટ જોઈએ છીએ, છતાં તમે નો’તા ચડ્યા એ ખરું કે નહિ?

જવાબમાં ફોજદાર મૂંગા મારી રહ્યા. ઇનકાર કરવાથી ભવાડો વધવાની દહેશત હતી કેમ કે એક-બે વાર ન્યાયાધિકારીએ ઇચ્છા બતાવી હતી કે આ ડાકાયટીઓનાં ‘ફ્યૂનરલ ફીસ્ટસ’ (કારજો) વધુ સમજી લેવાની પોતાને પોતાના પુસ્તક-લેખનમાં જરૂર છે; માટે બોલાવીએ તે શખશોને, જેઓનાં આ ઓરત નામ આપે છે.

તડાકાબંધ મુકદ્દમો ચાલે છે. તહોમતદારણ આ ત્રાસકથાઓનાં ઝડપી ચિત્રો દોરી રહી છે. ગોરાસાહેબના મોં પરથી મારક મારક કરતો મલકાટ ઊતરતો જ નથી. બાઈના વાણીવેગે બાઈને એટલી તો ઉત્તેજીત કરી મૂકી છે કે માથા પરથી ચેક ખભે ઢળેલા ઓઢણાંનું પણ એને ભાન નથી. તેવામાં ઓચિંતી એની નજર સામા ખૂણા પર પડી. એણે એક પુરુષ ને જોયો, ઓળખ્યો અને એકાએક એ બોલતી અટકી ગઈ.

૧૭૪
સોરઠ તારાં વહેતાં પાણી