પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એણે ઓઢણું સરખું ઓઢયું. એટાલું જ નહિ પણ એક બાજુ લાંબો ઘૂમટો ખેંચી લીધો. એના બોલ પણ ધીમા અવાજની લાજ પાછળ ઢંકાયા. એની આંખો ન્યાયાધિકારી તરફ હતી, આંખોના પોપચાં નમ્યાં હતાં. કોઈ એવા માણસની ત્યાં હાજરી હતી, જેણે આ નફટ બહારવટિયાણીને નાની, શરમાળ વિષાદભરી વહુ બનાવી નાખી.

હેરત પામેલા અધિકારીએ બાઈની સામે ટગર ટગર તાક્યા કર્યું. બાઈને લાગ્યું કે સાહેબ જાણવા માગે છે.

“સા’બ” એણે કહ્યું: ”મારા ભાણાભાઈના દાદા ત્યાં બેઠેલા છે. એ અમારે પૂજવા ઠેકાણું છે. અમ કારણે તો એના બૂરા હાલ બન્યા છે. મને બધીય ખબર છે, સા’બ!” એમ કહેતી કંઠવાણી જાણે કોઈ ભેજમાં ભીંજાઈ ગઈ.

લોકોએ પેલા ખૂણામાં જોયું. એક બૂઢો માનવી બેઠો છે. એની આંખો ખીલના જોરે લાલાશ પકડી ગઈ છે. કપડાં એનાં સહેજ મેલાં છે. ગાલ એના લબડેલા છે. દાઢીની હડપચી હેઠળ ચામડી ઝૂલે છે. એની નજર ભોંય તરફ છે.

ઘણાંએ એમને પિછાન્યા. રાવસાહેબ મહીપતરામનો જાણે એ એક કરૂણ અવશેષ હતો. એના રાઠોડી હાથની કેવળ આંગળીઓ જ જાણે હજુ બંદૂકોનાં બેનપણાં ભૂલી ન હોય તેવી જણાતી હતી.

શિરસ્તેદારે સાહેબને ટૂંકમાં સમજાવ્યું કે એ આદમી કોણ છે ને એની શી ગતિ થઈ છે.

મહીપતરામે પાંચેક મિનિટ જવા દીધી. એણે જોયું કે એની હાજરીએ વધુ પડતું ધ્યાન ખેંચ્યું છે. વધુમાં વધુ નાજુક અવસ્થા એણે બહારવટિયાણીની દીઠી. એ ધીરે રહીને ઊભા થયા. ધીરાં ડગલાં દેતા એ બહાર નીકળી ગયા.

અદાલતમાં ગણગણાટ ઊઠ્યો હતો. શબ્દો પકડાતા હતા : ઝેર – બહારવટિયાને – બહાદુર – ન સહી શક્યો - ઘેર બેઠો – નામર્દ નથી – કાઠી દરબારને એકલો હાથકડી પહેરાવીને લાવ્યો હતો – વગેરે વગેરે.

૧૭૫
સોરઠ તારાં વહેતાં પાણી