પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પતાકડાનો મદ યુરોપ જઈ આવતા તે વખતના દેશીઓના પદવી-મદને આબેહૂબ મળતો આવતો હતો.

એક શિરસ્તેદાર, એક 'રાઈટર', બે કારકુનો ને એક પોલીસ ઈન્સ્પેક્ટર મૂંગા અવાજમાં કશીક ગંભીર વાતો કરી રહ્યા હતા. પણ તેમાંના જે શિરસ્તેદાર હતા, તેમના મોં પરનો મલકાટ ગંભીરતાના પડને ભેદીને બહાર આવતો હતો. એમને આ પ્રસંગ કોઈક ભાવિકને તીર્થયાત્રાનો પ્રસંગ હોય તેટલો પ્રિય લાગતો હતો.

ખબ, ખબ, ખબ : રબર-ટાયરની ગાડીના ઘોડાની પડઘી સ્ટેશનની કમાન નીચે વાગી. સૌ હોશિયાર બન્યા : "પ્રાંત-સાહેબ આવ્યા."

એન્જિનની વરાળે જોશ પકડ્યું. નીચે ઊભેલો કાળો દેશી ખ્રિસ્તી ડ્રાઈવર એન્જિન પર ચડ્યો. ગોરા પોલિટિકલ એજન્ટ લાંબી, ધીરી ડાંફો ભરીને આવી પહોંચ્યા, નાની એક બંસી બજાવીને એન્જિને ત્રણ ડબા ઉપાડ્યા. નિર્જન જંકશન પર કોઈ છૂપા કાવતરાની હવા ગાડી પછવાડે રહી ગઈ. નાનકડી એ સ્પેશ્યલ આગગાડીએ દેદીપ્યમાન દિવસને પણ અંધારી રાત્રીનો પોશાક પહેરાવી દીધો.

"પ્રાંત-સાહેબની એ સ્પેશ્યલ ટ્રેન ક્યાં જતી હતી? પિનાકીએ જંકશનની તારની વાડ્ય પર રમતાં છોકરાંને પૂછ્યું.

"કોઈક રાજો મરી ગયો છે, ઈયાં ગીયો છે મારો પે." કોઈક મિયાણા પોલીસના છોકરાએ કહ્યું.

થોડી વાર પછી દુનિયાને જાણ થઈ ગઈ : વિક્રમપુરના ઠાકોર સાહેબ ગુજરી ગયા. થઈ તો ગયા હતા બે દિવસ, પણ એજન્સીને ખબર આજે જ પહોંચ્યા. શબને પથારીમાં જ સાચવી રાખી, માંદગી ચાલુ છે એવી વાત જ રાજમહેલમાંથી જાહેર કર્યા કરી હતી.

રાજાઓનાં અવસાનો તે વખતમાં રોમાંચકારી બનાવો હતા. મૃત્યુ શક્ય તેટલું ગુપ્ત રખાતું. અને તે દરમિયાન જામદારખાનાનાં જવાહિરો અને ખજાનાનાં દ્રવ્ય અનેક અણદીઠ હાથોની આંગળીઓ વડે હેરફેર પામતાં. રાજભંડારોને સીલ મારવા પોલિટિકલ એજન્ટોની સ્પેશ્યલો દોટાદોટ કરતી. કૈક ન્યાલ થતા. કૈક નીતિમાન નોકરો ઝડપમાં આવી પાયમાલ થતા.

અઢાર વર્ષની બાલસખી દેવુબા અત્યારે કેવી દુર્દશામાં પડી હશે ! એ

૧૯૨
સોરઠ તારાં વહેતાં પાણી