પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે.

આજી નદી સોરઠયાણી છે. વંકી અને વિકરાળ છે. મરદ મહીપતરામના પગ કમજોર પડ્યા પછી એક દિવસ ત્યાં ઘોડીને ધરાભર પાણીમાં ધમારતાં ધમારતાં પથ્થર પરથી લચક્યા હતા. એની છાતીના જમણા પડખામાં એક સટાકો નીકળ્યો હતો. વર્ષો પહેલાં ગોરા સાહેબ સાથે શિકારે ગયેલ ત્યારે વછોડેલી બંદૂક અકસ્માત પાછી પડી હતી : ફેફસાં પર કંદો ભટકાયો હતો. દગલબાજ દીપડાની પેઠે લપાઈ રહેલું એ દર્દ અત્યારે મહીપતરામના દેહના સ્નાયુઓ ખળભળતાં તરાપ મારી ઊઠ્યું. એનો દેહ પથારીવશ બન્યો. એણે જીવનની સાથેના જુદ્ધમાં હાર કબૂલી. પોતાનાં પ્યારાં પશુઓને ઠેકાણે પાડવાનો વિચાર એણે સૌ-પહેલો કર્યો.

સુરેન્દ્રદેવજી રાજકોટમાં હતા. મેડીએથી એણે રેશમ ઘોડીનો અસવાર નીરખ્યો. ફૂટતી જુવાની ઘોડાની પીઠ પર જેવી રૂડી લાગે છે તેવાં રૂડાં જગત પર ઘણાં ઓછાં દૃશ્યો જડે છે.

"મારા બાપુજીએ આ ઘોડી આપને સોંપવા મોકલેલ છે." પિનાકી વધુ કશું સમજાવી ન શક્યો.

કાઠિયાવાડની એ રસમ સુરેન્દ્રદેવજીને માલૂમ હતી. બદલી પર જતા અમલદારો પોતાનાં પશુઓ લાગતાવળગતા દરબારોને ભેટ દાખલ મોકલતા. એવી ભેટનાં મૂલ બજારભાવ કરતાં ઘણાં વધારે મળતાં. પણ મહીપતરામની એ રસમ ન હોય. એ આજ છેલ્લે પાટલે હોવો જોઈએ!

સુરેન્દ્રદેવજીએ પૂરા ચારસો રૂપિયા પિનાકીને ગજવે ઘાલ્યા. સુરેન્દ્રદેવજીના સુંવાળા પંજા નીચે પોતાની રેશમી રુંવાટી થરથરાવતી ઘોડી દરબારી તબેલામાં ચાલી અને પિનાકી હર્ષ પામતો પામતો ઘેર પહોંચ્યો.

"લ્યો આ," કહીને એણે બાપુજીની પથારી પર નોટોની ઢગલી કરી ઉમેર્યું કે, "દરબાર સાહેબ તો ઊલટાના બહુ રાજી થયા."

મહીપતરામ જોતા હતા કે ભાણાના મોં પર આનંદની ફાળો ચાલી રહી છે - જેવી ફાળ પાંચાળના આષાઢ-ઝરતા ડુંગરા પર પોતાની રેશમ ઘોડીના પગડા રમતા હતા એક દિન.

એ સૂતા હતા તેમાંથી કષ્ટાતા કષ્ટાતા ઊઠ્યા. પિનાકી ટેકો આપવા ગયો

૧૯૯
સોરઠ તારાં વહેતાં પાણી