પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પુષ્પાએ પિનાકી તરફ ખાસ નિહાળીને નજર કરી. છ-આઠ મહિનાના ગાળામાં પિનાકી જબ્બર બની ગયો હતો. એ વાત પુષ્પાને સાચી લાગી.

"હું તમારી ઘોડી પર ચડીને આવ્યો."

"સારું કર્યું, ભાણાભાઇ!"

"મને બહુ ગમ્યું."

"હું બહાર હોત તો તમને ખૂબ સવારી કરાવત."

"હવે બહાર નીકળો ત્યારે."

"હવે નીકળવાનું નથી."

"કેમ?"

"મને ફાંસી જડશે. મેં ખૂન કર્યું છે."

પિનાકીની યાદદાસ્ત ઊઘડતા પ્રભાત જેવી તાજી બની: "તમે તો પેલાને માર્યો હશે - તમને કાઠીના દીકરા કહ્યા'તા તેને."

"મને કાઠીનો દીકરો રહ્યો હોત તો - તો બહુ વાંધો ન હતો પણ એ ગાળ તો મારી વાણિયણ માને પડી. મા અત્યારે જીવતી પણ નથી. મરેલી માને ગાળ પડે તે તો શે ખમાય!"

આ દલીલોમાં પિનાકીને કંઇ સમજ ન પડી. એને હજુ ભણકારા તો રૂખડ શેઠની ઘોડીના જ વાગી રહ્યા હતા. રૂખડ શેઠની ઘોડી પર પોતે સવાર થયો હતો, એ ગર્વ પોતે અલક્ષ્ય રીતે પુષ્પા પર છાંટતો હતો.

“હું હવે તમારી ઘોડીને ખડ-પાણી નિરાવવા જાઉં છું. હું એને બાજરો પણ આપીશ, હો!" એમ કહી પિનાકી ચાલ્યો.

"આવજો, ભાણાભાઇ!"

"હેં, તમે ક્યારે આવ્યા, પિનાકીભાઇ?" પુષ્પાએ હવે નિરાંતે પૂછ્યું.

"પછી કહીશ. પહેલાં ઘોડીને જોઇ આવું" એમ કહી પિનાકી દોડ્યો ગયો.

દરમિયાનમાં થાણદાર સાહેબની ઘર-કચેરીમાંથી ઉગ્ર બૂમો ઉઠતી હતી: "થાણાનો ઉપરી કોણ? એ કે હું? આ તો ઠીક છે, પણ કોક દી આમાંથી ખૂન થઇ જશે – ખૂન! તહોમતદારોને ફટવી મૂકે છે!"

ને જમાદારની ઑફિસ ત્યાંથી બહુ દૂર નહોતી. આ બરાડા ત્યાં

૩૩
સોરઠ તારાં વહેતાં પાણી