પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તમે કોણ છો? આવું કયા દુઃખે બોલાય છે?"

"તમે કોના ગૌચર ધીંગાણે ઊતર્યા'તા, ભાઇ!"

"રૂખડ શેઠ - જેને ફાંસી થઇ - તેની રંડવાળ બાઇએ પોતાના ધણીની મિલકત પોતાની ગણી બસો વીઘા ગૌચરના કાઢ્યા. તે માથે હું ગાયું ચારતો. એક સૈયદનો છોકરો પણ પોતાની ગાયને ચારવા આવતો. રૂખડ શેઠના પિત્રાઇઓએ આ ગૌચરનું દાન થાણદારપાસે જઇ રદ કરાવ્યું. થાણદાર અમને ગૌચર ખાલી કરવા કહેવા આવ્યા. સૈયદની ગાવડી ઉપર થાણદારના મુસલમાન ફોજદારે સીસાના ગઠ્ઠાવાળી સોટી ઝાપટી, ને ગાયના ત્યાં જ પ્રાણ છૂટ્યા. સૈયદના છોકરાએ ત્યાં ને ત્યાં પાણકો લઇ પોતાનું માથું વધેરી નાખ્યું; એટલે મારાથી ન રહેવાયું. બેન! રાત જેવી રાત છે: પ્રાગડના દોરા ફૂટતા આવે છે; ખોટું નહિ બોલું. બેન! મેં હાથ પે'લો નહોતો ઉપાડ્યો."

"ને એ બાઇ કયાં ગઇ?

"કહે છે મલક ઉતરી ગઇ."

એક ઘોડીની હણહણાટી સંભળાઇ. એટલે લખમણભાઇ નામના પુરુષને યાદ આવ્યું: "આવી જ હાવળ દેતી."

"કોણ?"

"એની ઘોડી."

"એને ખુદને નો'તી દેખી?"

"ના. ધણી ફાંસીએ ગયો તે પછી ગામ બહાર ચૂડલા ભાંગતી'તી ત્યારે ગામ જોવા ગયેલુ. હું નહોતો ગયો."

"કેમ?"

"ચૂડીકરમ નથી જોવાતાં મારાથી."

"ત્યારે બા'રવટું કેમ કરી શકાશે!"

"પક્ડાઇ જવાનું મન થાય છે; માટે તો તમારી પાસે જાહેર થઇ જાઉં છું ને?"

"ફાંસીએ ચડશો તો?"

"તો કોઇને ચૂડીકરમ કરવું પડે તેમ નથી."

"બેય વાતો બગાડવી છે?"

૮૯
સોરઠ તારાં વહેતાં પાણી