“કાં બાપુ ? પટારા ભર્યા છે.”
“ઇલાજ નથી, બ્રાહ્મણનું ઘર છે.”
બહારવટીયા બીજે ઘરે દાખલ થયા. ભીમે ત્રાડ દીધી “કેવો છે એલા ?”
“વાણીયો છું.”
“ભાઈયું મારા ! પગરખાં બહાર કાઢીને ઘરમાં ગરજો હો કે !”
“કેમ બાપુ ?”
“વાણીયો ઉંચ વરણ લેખાય. એનું રસોડું અભડાય. પણ હમણાં ઉભા રે'જો.” એમ કહીને ભીમો વાણીયા તરફ ફર્યો. “ભાઈ વાણીયા, પટારામાં ઘરેણા હોય એટલાં આંહી આણીને મેલી દે. એટલે અમારે તારૂં ઘર અભડાવવું જ ન પડે.”
રસોડામાં ચુલે બાઈઓ રાંધતી હતી એની ડોકમાંથી દાગીના કાઢીને વાણીયે હાજર કર્યા. તૂર્ત ભીમે પૂછ્યું,
"ક્યાંથી લાવ્યો ? ”
“બાપુ ! મારી ઘરવાળીના અને દીકરાની વહુના અંગ માથેથી ઉતરાવ્યાં.”
“ઈ અમારે ન ખપે ભા, બાઈયુંનાં પહેરેલાં પાલવડાં કાંઈ ભીમો ઉતરાવે ?”
એટલું બોલી, ઘરેણાં પાછાં દઇ, ભીમે બજાર ફાડવાનું આદર્યું. દુકાને દુકાને ખંભાતી તાળાં ટીંગાતાં હતાં તે બંદુકને કંદે કંદે તોડી નાખી વેપારીઓના હડફા ઉઘાડ્યા. વેપારી પાઘડી ઉતારીને આડા ફરે એટલે પૂછે કે “વ્યાજ કેટલું ખાછ ?” “એ બાપુ તમારી ગૌ."
“બોલ મા ભાઈ, નીકર ચોપડાને આગ લગાડી દઈશ.”
વાણીઅણો આવીને આડી પડે, એટલે પોતે વાંસો વાળી જોઈ જાય, અને કહે કે