“તો મારે બે બાપના નથી થાવું. તું તારે તારાં માણસો લઈને ચાલ્યો જા ભાઈ ! મારે વળી સુરજ ધણીનું ધાર્યું થશે.”
નવે જણા ભીમોને ભેાજ ખાચરની ડેલીએ ગયા અને ચાપરાંજ વાળો એક બે કાઠીઓને લઈ જેપુરમાળવાને માથે ઉતરી ગયો.
એક દિવસ કચારીની અંદર જેપુર મહારાજની નજર આઘે આઘેના ખુણામાં બેઠલા એક આદમી માથે મંડાઈ ગઈ છે. માથેથી ગેાથું ખાઈને પાછા વળેલા દાઢીના કાળા કાતરા: ઉજળો, કંકુવરણી ઝાંય પાડતો મ્હોંનો વાન: ભેટમાં કટારી: ડોકમાં માળા : એવો ચોક્ખો ચારણનો દિદાર હોવા છતાં મહારાજે એના મોરામાં કંઇક નોખા જ અક્ષરો વાંચ્યા. મહારાજે હુકમ કર્યો કે “ઓલ્યા આદમીને આંહી લાવો તો !”
એ આદમીએ મહારાજની ગાદી સામે આવીને નીચા ઝુકી સલામ કરી.
કેવા છો ? મહારાજે પૂછ્યું.
“ચારણુ છું.”
“ક્યાં રે'વાં ?”
“કાઠીઆવાડમાં.”
વિચાર કરીને મહારાજ ઉભા થયા. “ગઢવા આંહી આવજો તો ! એમ કહી, એ આદમીને તેડી પાસેના ઓરડામાં ગયા. જઈને એકાંતે પૂછ્યું.
“તમે ગઢવા નથી. ચારણ કોઈ દિ' સલામ ન કરે. પણ એાવારણાં લ્યે. માટે તમે વેશ ધારી છો. બોલો કોણ છો ?”
“કાઠી છું.”
“નામ ?”