પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
સોરઠી બહારવટીયા : ૨
 


ને ૧૮૫૮નો જાનેવારી મહિનો છે. વ્હેતાં વ્હેન પણ થંભી જાય એવી ટાઢ સૂસવાટા મારે છે. અધરાત ભાંગી નથી, પણ સોપો પડી ગયો છે. વગડામાં કોઈ વિલાપ કરતું હોય એવા સૂર કાઢતો પવન, બોરડીઓ ને આંબલીઓનાં પાંદડાને ખખડાવી, પછાડી, માવછોયાં બાળકો જેવાં બનાવી ઉપાડી જાય છે. અને એ બધું ય, ઓખામંડળનાં રાભડીયાં, કદાવર કુતરાં ટુટીઆં વાળીને પડ્યાં પડ્યાં સાંભળે છે, પણ ભસવાનું જોર બતાવી શકતાં નથી. ગામથી તદન નજીક ધૂતારાં શિયાળવાં લુચ્ચાઈની લાળી કરીને વગડો ગજાવે છે.

તેવે ટાણે ઓખામંડળના ધ્રાશણવેલ ગામના પાદરમાં, ટીલાવડ નામે ઓળખાતા ચામુંડાના વડલા નીચે, અંધારામાં પાંચ છ મોટી શગડીઓ સળગી રહી છે. અને શગડીને વીંટી પચીસ જણા, પાંચેક હોકા પતંગમાં ફેરવતા ફેરવતા, ઉભા ગોઠણ સાથે કસકસીને પછેડીની પલોંઠી ભીડી સજ્જ હથીઆરે બેઠા છે. મ્હોંયે બોકાનાં ભીડ્યાં છે. પચીસેનો પોશાક જાડેજા રજપૂતો પહેરે છે તેવી જ ઢબનો છે. પણ પહેરવેશમાંથી રાજવટને શોભે તેવી રિદ્ધિ સિદ્ધિ ઉડી ગઈ દેખાય છે. પાઘડીઓમાં પડેલા લીરા, ઘડીની અંદર સંતાડી દીધેલા છે. અને ચોરણીઓના થીગડાં પલાંઠી ભીડેલ પછેડી હેઠે દબાવેલાં છે. ઓખામંડળના રાજાઓની એ અધરાતે એવી હાલત હતી.