પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૦૯
 


હનુમાન જતિ જેવાં પગલાં ભરતો જોધો અંધારામાં ધાબળો ઓઢીને અદ્રશ્ય થયો, અને જુવાન મૂળુભાએ અમરાપર જઈ પોતાના વફાદાર રાયકાને હુકમ કર્યો:

“રાયકા ! વાઘેરોનાં પચીસે ગામડામાં ફરી વળજે. અને કહેતો જાજે કે શ્રાવણ શુદ એકમની અંધારી રાતે, દ્વારકાના કિલ્લાની પાછલી રાંગે, ઉગમણી દૃશ્યે, જસરાજ માણેકના પાળીઆ પાસે પાઘડીનો આંટો નાખી જાણનારા સહુ વાઘેર બચ્ચા હાજર થઈ જાય. જા ઝટ, જે રણછોડ ! ”

“જે રણછોડ !” કહીને રાયકે સાંઢીયાની દોરી હાથમાં લીધી. રાતોરાત સંદેશા ફેરવીને પ્રાગડ વાસ્ય પાછો અમરાપરના દરબારગઢની ડેલીએ સાંઢીયો ઝોકાર્યો.

“કહી આવ્યો ?”

“હા ભા !”

“શો જવાબ ?”

“જે રણછોડ !”

“સંધાએ ?”

“એકોએકે. બાઈયું પણ બચ્ચાં ઝોળીએ લઈને સાથે નીકળશે.”

275x275ps