પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
સોરઠી બહારવટીયા : ૨
 


“ખમા !ખમા રણછોડ રાયને હવે અમરાપર ગામમાં સહુથી લાંબાં બે ખોરડાં હોય તેનાં આડસર ખેંચી કાઢો.”

બે આડસરો કાઢીને તેની ઉંચી, આભને અડતી નીસરણી બનાવી. શ્રાવણ શુદ ૧ ની સાંજે, અંધારાં ઉતર્યા પછી મુળુ માણેકે ગઢની અંદર જઈને છેલ્લા જુવાર લીધા દીધા.

દિવસ આથમે ને જેમ ટપોટપ આભમાં એક પછી એક તારલા ઉગતા આવે, તેમ અમરાપરના પાદરમાં પણ શ્રાવણ શુદ એકમની સાંજે દિવસ આથમવાની સાથે જ ગામડે ગામડેથી વાઘેરો આવવા લાગ્યા.

દોઢસો વાઘેરોનો સંઘ, કેડીએ કેડીએથી આવીને અમરાપરને પાદર મુળુ માણેકના નેજા નીચે ખડો થયો. સામસામા જે રણછોડ ! રણછોડ ! ના સૂર બંધાઈ ગયા અને બધા બથો ભરી ભરી ભેટ્યા. આખું દળકટક અમરાપરથી ઉપડ્યું. અને જ્યાં સીમાડે પગ માંડ્યા ત્યાં ડાબી કોર ગધેડો ભૂંક્યો.

“મુરૂભા ! તારી ફતેના ડંકા જાણજે. ડાબો ગધેડો ભૂંક્યો. લાખ રૂપીઆનાં શુકન થાય છે.” બારાના ઠાકોર જેઠીજીએ શુકન પારખીને મુબારકી દીધી.

“સવારને પહોર દ્વારકા આપણું સમજજે મુરૂભા." વસઈવાળાએ મુળુને ચડાવ્યો.

“દ્વારકા મળે કે ન મળે, આપણું કામ તો હવે આ પાર કાં આ પાર મરી મટવાનું છે ભા !” મુળુભા પોરસ ખાઈને બોલ્યો.

પ્રાગડના દોરા ફુટ્યા. અને દ્વારકાના ગઢ અગ્નિકોણથી મુળુ માણેકે “જે રણછેડ !” કહી નીસરણી ઉભી કરાવી.

પણ નીસરણી એક હાથ ટુંકી પડી. ગઢ એટલો છેટો રહી ગયો.