“અને દેવા છબાણી ! તું બેટનો કબ્જો લેજે. તોપને મોઢે
ઉડી જાજે, પણ હાર્યાના વાવડ દેવા પાછા મ વળજે. ”
“જે રણછોડ !” કહીને દેવા છબાણી શંખોદ્ધાર બેટ પર છૂટ્યો.
“પણ આ દ્વારકા ખાલી ક્યારે થઈ ગયું ? સરકારી માણસો બધાં ક્યાં સમાણાં ! "
દૂતોએ દોડતા આવીને ખબર દીધાઃ “જોધાભા, જામપરામાં ચારસો સરકારી જણ બેઠા છે.”
“લડવાની તૈયારી કરે છે ? કે ઓખો છોડીને ભાગવા રાજી છે ?”
“ભાગવા."
“અરે ભાગી રહ્યા. માંડો જામપરાને માથે તોપો ! ફુંકી દ્યો ! વડોદરે વાવડ દેવા એક છોકરૂં યે જીવતું ન નીકળે.”
આવા રીડીયા થયા. અને જોધો ઝાંખો પડી ગયો, ગરવી વાણીમાં એ બોલ્યો:
“ન ઘટે, મુંજા પે ! એવી વાતું વાઘેરૂંના મ્હોંમાં ન સમાય. એ બચાડા તો ચિઠ્ઠીયુંના ચાકર ! અને વળી પીઠ દેખાડીને ભાગે છે. એની ઓરતું, બાલ બચ્ચાં, ઘરડાં બુઢ્ઢાં રઝળી પડે. જાવા દો મારા ડીકરાઓ !”
ચારસો ગાયકવાડી ચાકરો, દ્વારકા દુશ્મનોના હાથમાં સુખશાંતિથી સોંપીને સીમાડા બહાર નીકળી ગયા. નગર રાજ્યના મહાલ જામખંભાળીયામાં જઈને ચારસો જણાએ પડાવ કર્યો અને આંહી દ્વારકામાં તો
ખંભે ખંભાતી ધોતીયાં, ધધકે લોહીની ધાર,
ગોમતી લાલ ગુલાલ, માણેક રંગી મૂળવા !
ગોમતી નદી સોલ્જરોના લોહીથી લાલ ગુલાલ બની ગઈ.