પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૫૧
 

વંકા ગાળામાં બેસી કોડીનારની લુંટનો ભાગ પાડ્યો. જોધાએ પૂછયું “કુલ આપણે કેટલા જણ ?”

“એક સો ને બે.”

“ઠીક ત્યારે, એક સો ને બે સરખા ભાગ પાડો ભા !”

“ના ના જોધા ભા ! એમ નહિ બને. તું અમારો રાજા છો. પ્રથમ તારી મોટાઈનો ભાગ કાઢીએ. તે પછી જ અમારા એક સો ને બે સરખા ભાગ પડાશે.”

મોટાઈનો ભાગ કાઢ્યા પછી સરખે સરખા ભાગ પડ્યા. અકકેક માથા દીઠ ત્રણ સો ત્રણ સો કોરી વ્હેંચાણી. અને બારવટીયા હિરણ્ય નદીને કાંઠે વાંસાઢોળના ડુંગરામાં આવ્યા. નદીની લીલી પાટ ને પીળી પાટ ભરી હતી પડખે એક ઘટાદાર આંબલી હતી. જોધાએ એ આંબલી નીચે ઉતારો કરવાનો મનસૂબો જાહેર કર્યો.

તેજ વખતે બરાબર એક વટેમાગું ત્યાંથી નીકળ્યો. એણે શીખામણ દીધી કે “ભાઈ, આંહી કોઈ દાનસ્તું માણસ રાત રોકાતું નથી. એવી વ્હેમવાળી આ જગ્યા છે, પછી તો જેવી તમારી મરજી !”

જોધાએ કહ્યું “ અરે ભાઈ ! ખડીયામાં ખાંપણ લઈને ફરનારાને તો સંધીય જગ્યા સોના જેવી.”

પડાવ નાખ્યો. બીજા જ દિવસથી જોધાને તાવ ચડ્યો. ત્રીજે દિવસે જોધાને પોતાનું મોત સુઝ્યું. મરતી વખતે એણે એટલું જ કહ્યું કે “ભાઈ ! મને મુરૂની તો ભે નથી. પણ દેવો ક્યાંઈક લપટશે એવો વ્હેમ આવે છે. દેવાને મારી રામદુવાઈ ક—”

એટલું વેણ અધુરૂં રહ્યું, ને જોધાનો જીવ ખોળીયું ખાલી કરીને ચાલી નીકળ્યો. હિરણ્યને કાંઠે જોધાને દેન દીધું. એક સો ને એક માણસોએ લુગડાં કાળા રંગમાં રંગીને પહેરી લીધાં. આખી ટુકડી જઈને મૂળુ ભેળી થઈ ગઈ.