પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૫૫
 


“ખમ્મા મુરૂભા ! મુરૂભા આવ્યો !” એવી વધાઈ પીંજરામાં ઉભેલા કેદીઓના મ્હોંમાંથી વછૂટી.

“ટોપીવાળા સાહેબો !” મુળુ બોલ્યો, “મુળુ માણેક બીજા હજાર ગુન્હા કરે, પણ વચન આપીને ન ફરે. હું ભાગી નીકળવા નહોતો રોકાણો. પણ મારી મા બ્હેનો અને ઓરતોને મુલાજાભેર ક્યાંઈક ઓથે રાખી આવવા મુંઝાતો હતો. કેમકે ઓખો તો અટાણે તમારા બુલોચી પલ્ટનીયાઓના પંજામાં પડ્યો છે. અને બલોચો અમારી બ્હેન દીકરીઓની લાજું લૂંટે છે.”

બોલતાં બોલતાં મૂળુ માણેકની આંખમાં કાળ રમવા લાગ્યો.

[૧]મુકર્દમો ચાલ્યો. જુબાનીઓ લેવાઈ, ફેંસલો લખીને ગોરાઓ ઉપડી ગયા. એની પાછળથી ફેંસલો વંચાણો કે “સુડતાલીસ વાઘેરોને પાંચ પાંચ વર્ષની, અને મુળુને ચૌદ વર્ષની સખ્ત મજૂરીની સજા. એના પિતા બાપુ માણેકને સાત વરસની સજા. તમામને વડોદરે રેવાકાંઠા જેલમાં ઉઠાવી જવાના.”

ખડ ! ખડ ! ખડ ! દાંત કાઢીને મુળુ બોલ્યોઃ “ક્યાં છે વાઘેરોને વિશ્વાસઘાતી કહેનારા ? વિશ્વાસઘાતી તે સાહેબનાં વેણ ઉપર ભરોસો રાખીને હથીઆર મેલનારા વાઘેરો ? કે અમને અભેવચન આપીને પછી કાળે પાણીએ કાઢનાર અંગ્રેજો !”

કચેરીની અંદર મુળુ માણેકની તલવાર કબજે કરવામાં આવી. સારાં હથીઆર તો બધાં ગીરમાં દાટી દીધેલાં. ફકત આ એક કટાઈ ગયેલા વટની, મીયાન વગરની તલવાર હતી.


  1. *“આ વખતના કેદીઓની જુબાની ઉપરથી સાફ માલુમ પડ્યું કે ગાયકવાડી અધિકારીઓએ તેઓનાં રોજ બંધ કર્યા, અને વારે વારે તેઓના ઉપર ચડાઈ કરવાના ડારા દીધા તેથી તેઓને આ તોફાન કરવાની જરૂર પડી. પોલીટીકલ ખાતામાં જોધો એકવાર ફરીઆદે ગયેલો, ને ત્યાંથી કાંઈ દિલાસો પણ મળેલો પણ પાછળથી કાંઈ થયું નહિ. મુળુ પેાતાનાં રોજ પેટે, લગ્ન ખરચ સારૂ બે હજાર કોરી લેવા ગયો હતો પણ તેને મળી નહિ હતી.” ['ઓખામંડળના વાઘેરોની માહેતી]