પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
સોરઠી બહારવટીયા : ૨
 


શેરાની ચોરાશી રંધાણી. તમામ માણસો માટે શેરાનાં સદાવ્રત મંડાઈ ગયાં.

હિન્દુ મુસલમીનનાં તમામ દેવસ્થાનો પર નવી ધજા ને નિવેદ ચડાવ્યાં.

લોકોની ભેળા બહારવટીયા દાંડીયા-રાસ રમ્યા. કોળી પટેલીઆઓની સ્ત્રીઓ પાસે રાસડા લેવરાવ્યા.

ત્રાસ વીતાવ્યો ફક્ત વેપારીઓ ઉપર. સતાવવાની મનાઈ છતાં કેટલાક ફાટેલા જુવાનોએ કોઈ કોઈ ઠેકાણે લુંટફાટ કરી; દર દાગીના કઢાવ્યા. દુકાનો ફાડી ફાડી રસ્તા ઉપર ઘી, ગોળ, સાકર, અનાજ, કપાસીઆ વગેરેના ઢગલા કર્યા. અને ગામલોકોને હાકલ દીધી કે “ખાવું હોય એટલું ખાઓ, ને લેવું હોય એટલું ઘેર લઈ જાઓ !”

વેપારીઓના ચોપડા મંગાવી સળગાવી મૂકયા.

“ગલાલચંદ શેઠ,” બહારવટીયાએ હુકમ કર્યો, “તું અમારો મેતો. આ બધા વેપારીઓ પાસેથી એની મત્તાના પ્રમાણમાં દંડનો આંકડો ઠરાવી ઉઘરાવી લે ભા : અને જેની પાસે રોકડ ન હોય એની પાસે એના દંડ પૂરતી કિમ્મતનો જ દાગીનો વસૂલ લેજે. વધુ મા લેજે ભા ! નીકર તુને માધવરાયજી પૂછસે !”

ગલાલચંદ શેઠે દંડના આંકડા મૂક્યા. ધનજી મુખીની દસ હજાર કોરી રાખી છ હજારનો માલ પાછો આપી દીધો.

ઠક્કર કેશવજી જેઠા નામે એક માલદાર વેપારીને મનાવતાં કોઈ બહારવટીયાના માણસે કાન ઉપર વગાડ્યું ને એને કાને લોહી નીકળ્યું. જોતાં જ મૂળુએ ત્રાડ પાડી કે “કોઈને એક ચરકો પણ કરવાનો નથી. અને આ શેઠને લોહી નીકળવાથી મારૂ દિલ દુ:ખાણું છે. એને કશોય દંડ કર્યા વગર છોડી મૂકો! ”

ખોજા કામના કોઈ વેપારીની એક રતન નામની ડોશી પોતાના દર દાગીના લઈને એક બ્રાહ્મણના ઘરમાં સંતાઈ ગઈ.