પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
સોરઠી બહારવટીયા : ૨
 


આભપરા ડુંગર ઉપર, સોન કંસારીનાં દેરાંની ઓથ લઈ પોણોસો વાઘેરો સાથે મૂળુ માણેક પડ્યો હતો. એની સામે નગર વડોદરાની મળી નવ સો માણસની ફોજે, નીચલે ગાળેથી મોરચા માંડ્યા. ફોજની પાસે નવી નવી ઢબનાં હથીઆર છે, દારૂગોળા છે: ને વાઘેરો તો જેવાં જડ્યાં તેવાં હથીઆરે ટક્કર લઈ રહ્યા છે.

રોંઢા સુધી ટપાટપી બોલી, પણ ગીસ્તને વાઘેરો પાછી ન વાળી શક્યા. ધીરે ધીરે ગીસ્ત પગલાં દબાવતી ઓરી આવવા લાગી. બહારવટીયાની પાસે દારૂગોળો ખૂટી ગયો. મુળુ મરણીયો થયો. એણે આજ્ઞા દીધી કે “બાલબચ્ચાંને ડુંગરાની પાછલી બાજુએ ઉતારી નાખો. અને છેલ્લી વારના 'જે રણછોડ' કરી જૂદા પડી જાઓ !”

પોણોસો વાઘેરો તરવારો દાંતમાં ભીંસીને છેલ્લા અક્કેક બબ્બે ભડાકા જેટલા દારૂવાળી બંદૂકો સાથે હેઠા ઉતર્યા, પણ ઉપરથી આવતા પોણોસોનો ધસારો એ ફોજને પંદરસો જેટલો લાગ્યો.

ગીસ્ત ભાગી. પોણોસો મરણીયાના હલ્લા નિહાળતાં જ ગીસ્તના આત્મામાંથી રામ ગયા. આડી અવળી ગાળે ગાળે અટવાતી ફોજ ઉપડી અને મૂળુએ હાકલ કરી કે “ભજો મા ! પે ભજો મા ! નીમક લજાવો મા, જુવાન્યો ભજો મા !” પણ ગીસ્ત તો ભાગી તે ભાગી જ.

“ખબરદાર ભાઈ !” મુળુએ માણસોને કહ્યું: “ભજાને માથે ઘા ન કરજો હો કે !”

ભાગતા શત્રુની ઉપર ઘા ન કરવાનું વાઘેર બહારવટીઆનું બિરદ હતું. તે પ્રમાણે વાઘેરોએ બંદૂક વછોડવી બંધ કરી. પણ બંદૂકના ધુમાડા વીખરાયા અને ઉઘાડા અજવાળામાં વાઘેરોએ એક આદમીને ઉભેલો દીઠો: જાણે મસ્જીદમાં નમાજ પડતે હોયની એવો અચળ બની ઉભો છે, એને મોતનો ડર નથી.

બુંગણ ઉપર દારૂગોળા ને હથીઆરોને પથારો પડ્યો છે. ખાવાનાં ભાતાં પડ્યાં છેઃ અને એ બધાની વચ્ચે ઉભો છે એક