પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
સોરઠી બહારવટીયા : ૨
 


“બસ ! ચારણ ! મારૂં મોત બગાડવું જ ઠર્યું કે ? ઠીક ત્યારે બેલી, ઉઘાડી નાખો બારણું.”

[૧]પાંચે જણા બહાર નીકળ્યા. સામેથી ગોળીઓની ઝીંક બોલી અને આંહી છેલ્લા નાદ સંભળાણા:

“જે રણછોડ ! જે રણછોડ ! જે રણછોડ !”

ઈંદર લોકથી ઉતરીયું, રંભાઉં બોળે રૂપ
માણેક પરણે મૂળવો, જ્યાં ભેળા થીયા ભૂપ.

[ઇંદ્રલોકથી રંભાઓ મહા રૂપ લઈને ઉતરી: જ્યાં ભૂપતિઓ ભેળા થયા છે અને મૂળુ માણેક પરણે છે ત્યાં–રણક્ષેત્રમાં.]

નારીયું નત્ય રંડાય, નર કેદિ રંડાય નહિ,
ઓખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો.

[સ્ત્રીઓ તો રંડાય છે. પણ પુરષ કદિ રંડાતો નથી. છતાં આજ તો મૂળુ માણેક મરતાં એાખો (ઓખામંડળ) કે જે પુરૂષવાચક છે, તે રાંડી ૫ડ્યેા. નિરાધાર બન્યો.]

૩૦

પોરબંદરની બજારમાં શેઠ નાનજી પ્રેમજીની દુકાન પર ગીસ્ત ઉભી છે. વચ્ચે પડ્યું છે એક વાઢી લીધેલું માથું : કાળો ભમ્મર લાંબો ચોટલો વીખરાણો છે.


  1. *કોઈ જાણકારો એમ પણ કહે છે કે મુળુ માણેક છેલ્લી વાર ટોખરા પાસે ઘેરાણો ત્યારે તેના સાથી હરદાસ રબારીએ કહ્યું “મુળુભા ! તું એકલો બહાર નીકળી જા, તું એકડો આબાદ રહીશ તો મીંડાં તો ઘણાં ચડી જશે.” મહા મહેનતે મુળુ માણેકે આ સલાહ સ્વીકારી;- ધાબળો ઓઢી, તલવારનો પટો કાઢી બહાર નીકળ્યા. પણ ધાબળાનો છેડો ઉંચો થઈ જતાં ડાબા પગમાં રાજચિન્હ તરીકે સોનાનો તોડો હતો તે દેખાઈ જતાં જ મકરાણી જમાદાર શોરાબ વાલેછંગાએ ઘા કર્યો ને બહારવટીયાને મારી પાડ્યો. પછી તો કાઠીઆવાડમાં ખબર પડતાં, વાઘેરોના પોરસવાળો એક સરવૈયો રાજપૂત સો ગાઉ ઉપરથી ઘોડે ચડીને આવ્યો અને મુળુ માણેકના મારનાર એ જમાદાર શોરાબ વાલેછંગાને ગોતીને ઠાર માર્યો.