બહારવટીયાનો આદમી ત્યાં જઈ છુપી રીતે 'આઈ'ની પાસેથી સમાચાર લઈને ભાણગાળે આવેલ છે. જોગીદાસ પૂછે છે:
“બાળબચ્ચાંના કાંઈ સમાચાર લાવ્યો છે ભાઈ ?"
“આપા ! આજ તો આઈએ મોટે ટીપે આંસુડાં પાડતાં પાડતાં સમાચાર કહેવરાવ્યા છે.”
“આંસુડા પાડ્યાં ? કેમ ? થાકી ગઈ કાઠીઆણી ? ભાવનગરના રાજદરબારમાં કાંઈ રખાવટ મોળી પડી ? ઠાકારે કાંઈ કહ્યું ?”
“આપા ! કોઈએ કાંઈ કહ્યું નથી કે કારવ્યું નથી. આઈ થાક્યાં યે નથી. પણ આ આંસુડાં તો ઘણમૂલાં કે'વાય.”
“શું કેવરાવ્યું છે ?”
“કેવરાવ્યું છે કે કાઠી ! હવે બારવટુ કોના સામું કરો છો ? મહારાજ તો દેવનો અવતાર છે. મહારાજે પોતે જ આપણી દીકરી કમરીબાઈને ડેડાણ કોટીલાને ઘેરે પરણાવી. અને એક લાખનો દાયજો દીધો. દુશ્મન ઉઠીને બાપ થયો !”
“હા ! ઈ વાત હું જાણું છું, મહારાજ આપણાં ગામ ખાય છે, તે દાયજો કરે, બાપ ! બીજું કાંઈ ?”
“બીજું તો કાઠીને કે'જો કે થોડા દિ' પહેલાં આપણો લાખો ને હરસુર બેય જણા કુંવર નારૂભા ને અખુભાની સાથે રમતા'તા. એમાં લાખે કુંવર નારૂભાને લપાટ મારી. કુંવર રોતા રોતા મહારાજ પાસે ગયા. જઈને કહ્યું કે "મને લાખે ખુમાણે માર્યું.” તે ટાણે મહારાજના મ્હોંમાંથી શા શબ્દો નીકળ્યા કાઠી ! મહારાજે કહ્યું કે “બેટા ! એનો વાંધો નહિ. એનો બાપ રોજ અમને મારે છે, તો પછી દીકરો તને મારે એમાં નવાઈ શી ? અમે ય વાંસો ચંચવાળી રહીએ છીએ !”
“કાઠી ! આખા દાયરાની વચ્ચે પોતાના ટીલાત કુંવરને આવો જવાબ આપીને મહારાજ ખડ ખડ હસી પડ્યા, પછી પોતે નારૂભાને હેતભર્યે હૈયે કહ્યું કે