મને સાંપડેલાં આ વૃત્તાંત ઐતિહાસિક છે, અર્ધઐતિહાસિક
છે, કે અનૈતિહાસિક છે, તે નિર્ણય પર
પહોંચવા માટે કોઈ સરકારી દરબારી અથવા પ્રજાકીય
દફતરો નથી. તેમજ એ બધાં કેવળ ચારણ ભાટનાં જ
કહેલાં નથી. બહારવટીયાનાં સગાં સંબંધીઓ, પોલીસ
અધિકારીઓ, ગ્રામ્ય પ્રજાજનો, ખુદ બહારવટામાં શામિલ
થયેલાઓ, નજરે નજરના સાક્ષીઓ, વગેરે બન્યા તેટલા
જૂજવા જૂજવા જાણકારોમાં ફરીને આ દોહન કર્યું છે.
તેથી ઇતિહાસના અંધકારમાં અમૂક અંશે પણ હું
આ સામગ્રીને માર્ગદર્શક માનું છું. અને તેનો આધાર
લઈને હું બહારવટીયાનાં કૃત્યોની સાંગોપાગ છણાવટ
કરવા માગું છું. એ છણાવટના મુદ્દા આ પ્રકારના રહેશે.
૧. ઈતર દેશોના તેમજ ઈતર પ્રાંતોના બહારવટીયા: તેની પ્રત્યે દેશવાસીઓનાં દિલસોજ વલણ : એ દિલસોજીનાં કારણો : બહારવટીયાનાં જીવન-વૃત્તાંતોનું યુરોપી સાહિત્યમાં ગુંથણ.
૨. આપણે ત્યાં બહારવટીયાનાં ઐતિહાસિક પુસ્તકો : કીનકેઈડ અને બેલનાં લખાણો પર સમાલોચના : અંગ્રેજ ઇતિહાસકારોની ઉપરછલીયા પ્રકૃતિ : રા. સા. ભગવાનલાલ સંપતરામનો વાઘેરોના બળવાનો સંગીન ઇતિહાસ.
૩. સોરઠી બહારવટીયાઓના વિભાગો : બહારવટે નીકળવાનાં કારણો. સત્તાના જૂલ્મો : નિરાશા : પોતે માનેલા અન્યાય સામે મરણીયો પડકાર.
૪. તેઓનાં સંકટ : એકલા હાથે અન્યાય સામે ઝૂઝવામાં કેટકેટલાં વર્ષોનું અડગ ધૈર્ય : બાળબચ્ચાંથી