પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગીગો મહીયો
૪૭
 


“ભાઈઓ, તમે સિપાહીના દીકરા છો; હું કરજમાં ન મરૂં એટલા સારૂ વિનવું છું કે આ હાર અને આ તલવાર પાટણવાળા દેસાઈ ઉદેશંકર કાકાને પાછાં પોગાડજો ! કહેજો કે તે દિ' રાતે બીજ ગામેથી ગીગલો ચોરી ગએલો.”

પોતાના ગળામાંથી નવસરો હેમનો હાર અને કમ્મરમાંથી રૂપીઆ જડિત પટાવાળી તલવાર ઉતારીને ગીગાએ ધરતી પર ઢગલો કર્યો. [૧]તે પછી તૂર્ત એના શ્વાસ છૂટી ગયા. બીજાઓને પણ ગીસ્તે આંબલી પરથી બંદૂક મારી મારીને પછાડ્યા.

આ દેકારાની અંદર ગીસ્તની પછવાડે જ મોરલીશા ચાલ્યો આવતો હતો. આવીને એ ગીગાની લાશ પર ઉભા રહ્યો. આંખો બીડીને થોડી વાર એણે ધ્યાન ધર્યું. ને પછી એણે ગીગાની જ તરવાર એ લાશ પરથી ઉપાડી.

“હાં ! હાં ! હાં ! બાપુ !” કહીને માણસોએ એના હાથ ઝાલ્યા.

“તમે ખસી જાઓ ભાઈ ! જીદ કરો મા. આજ મારે બાંધ્યે મીંઢોળે જ ગીગાની ભેળા થઈ જવું જોવે.”

હાથ છોડાવી, મોરલીશાએ પેટ તરવાર નાખી. ગીગાની લાશ ઉપર જ પોતે પ્રાણ છોડ્યા. સંવત ૧૯૧૩ની આ વાત.


  1. *આ હાર ને તલવાર દેસાઈ ઉદયશંકરને કોઈએ નહોતાં પહોંચાડ્યાં. એટલે દેસાઈએ અરજ હેવાલ કરતાં અજાબ મુકામે પો. એ. કેપ્ટન લેન્ગ મારફત તલવાર પાછી મળી, પણ હાર તો સિપાહીઓએ લુંટમાં વહેંચી ખાધેલો તેથી તેની કિંમતનાં રોકડ નાણાં મળ્યાં. એ નાણાં આ એકવચની નાગરે ગીગા મહીયાની પાછળ ધર્માદામા ખરચી નાખ્યાં હતાં. આ દેસાઈ કુટુંબની જવાંમર્દી આ વૃતાંતોમાં ઠેર ઠેર ઝલકે છે. આગલા પૃષ્ઠ ૩૭ પર આલેખેલાં નાગરાણી તે આ ઉદયશંકરનાં જ માતુશ્રી, અને કાદુની કથામાં “હરભાઈ” નામનું પાત્ર તે આ ઉદયશંકરના જ પુત્ર.