પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
સોરઠી બહારવટીયા : ૩
 

દિવસ પણ ચાલી. કોઈને વ્હેમ પડ્યો નહિ. નક્કી કરેલી જગ્યાએ બહારવટીયાને ભાત પહોંચાડ્યું.

રાત પડી અને બહારવટીયો ગામ પર પડ્યો. પોતે ચોકમાં ખાટલો ઢળાવીને ભરી બંદુકે બેઠો. અને સાથીઓને કહ્યું કે “ગામના વેપારીઓને લાવો. ભેળા એના ચોપડા પણ ઉપડાવતા આવો. અને એક મીઠા તેલના ડબો, એક બકડીયું ને એક સાવરણી આણજો.”

વેપારીઓને હારબંધ બેસાર્યા. મંગાળો કરી, તે પર બકડીયું ખડકી અંદર તેલ રેડ્યું. અને પછી કહ્યું કે “આ વેપારીઓના ચોપડાનું જ બળતું કરો. એટલે રાંક ગરીબનો સંતાપ મટે.”

ચૂલામાં ચોપડા સળગાવીને બકડીયામાં તેલ કકડાવ્યું. પછી એક પછી એક વેપારીને પૂછ્યું કે “કહો, લાવો, ઘરાણાં ને નાણાં હાજર કરો.”

“ભાઈ સાબ, અમારી પાસે નથી."

આવો જવાબ મળતાં કાદુ કહેતો કે “શેઠને જરા છાંટણાં નાખો.”

કડકડતા તેલમાં સાવરણી બોળીને બહારવટીયાંના માણસો વેપારીના શરીર પર છાંટતા અને ત્રાસ આપીને મનાવતા.

વેપારી માનતો કે “બાપા, ચાલો બતાવું.” પોતાને ઘેર લઈ જતો. ઘરની જમીનમાં ધન દોલત દાટ્યાં હોય ત્યાં સંભારી સંભારીને ખોદાવતો. પણ ફડકામાં ને ફડકામાં વેપારી ભાન ભૂલી જઈ પોતાને જે જગ્યા છુપાવવી હતી તે જ ખોદાવી બેસતો, ને તેમાંથી બહારવટીયાને પોતે કહેલા તે ઉપરાંતના બીજા દાગીના નીકળી પડતા, ત્યારે બહારવટીયો નિર્દય બનીને કહેતો કે “એ તો મારા તકદીરનાં નીકળી પડ્યાં. હવે તો તેં કહેલાં એ કાઢી દે!”

એવો સિતમ વર્તાવી કાદુ પેલી રોટલા દેનાર બ્હેનને બોલાવતો ને કહેતો કે “બેન, તારે જોઈએ તે આમાંથી ઉપાડી લે.”