પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૯૭
 

“અરે ભાઈ, મને મારી જ નાખોને !”

“તારૂં કોઈ નામ લ્યે તો મને કહેજે.હું પાછો આઠ દિવસે આંહી નીકળું છું.”

એમ ખેરાત અને ચોરાશીઓ જમાડી, બાઈઓ પાસે રાસડા રમાડી, સહુને આપતો આપતો કાદુ નીકળી જતો એવું કહેવાય છે.

૧૪

ભાઈ અલાદાદ ! હવે આપણા દિવસ પૂરા થયા. આપણાં પાપનો ઘડો ભરાઈ રહ્યો. હવે નહિ ટકાય.”

"કાં ?"

“દેશભરમાં ત્રાસ છૂટી ગયો છે. મુંબાઈનાં છાપાંમાં પણ ગોકીરો ઉઠ્યો છે. જુનાગઢના ગોરા પોલીસ ઉપરી હંફરી સાબે પોલીસમાં નવા લાયક આદમીઓની નવી ભરતી કરીને નવી જાતની બંદૂકો આપી છે. ગામેગામ ચચ્ચાર બંદૂકદારોનાં થાણાં બેસી ગયાં છે. અને રાવસાહેબ પ્રાણશંકર આપણને રોટલા દેવા ના શક ઉપર વસ્તીનાં નિર્દોષોને એટલા એટલા ફટકાની સજા કરી પીટે છે, કે મારાથી હવે આ પાપની ગાડી સહેવાતી નથી.”

“ત્યારે શું કરીશું ભાઈ કાદરબક્ષ !”

“મકરાણ તરફ ઉપડી જઈએ.”

“ભલે.”

બહારવટીયા ન ટકી શકવાથી બહાર નીકળી ગયા. થોડા દિવસ તો આ શાંતિનો ભેદ કોઈથી કળાયો નહિ. પછી તો વ્હેમ આવ્યો કે બહારવટીયા નાસી છૂટ્યા. ચારે તરફ તારો છૂટ્યા અને નાકાબંધી થઈ ગઈ. કાદુની બ્હેન દમણ જઈને મુસલમાન છોકરીઓ માટે મદ્રેસો માંડી પેટગુજારો કરવા માંડી. દીનમહમદ