પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૧૯
 

આઇની મોટી મોટી બે આંખોમાં છલકાતાં આંસુડાં રામ જોઈ રહેતો. અને પછી જાણે કાંઈ ખબર જ ન હોય તેમ ગાવા માંડતો કે

“...જીવ્યું ધિ:કાર તેનું છે.”

આઈએ થાકીને વાઘણીઆ ગામે પોતાના ભાઈ રામસ્વામીને સંદેશો પહોંચાડ્યો કે “સ્વામીને કહેજો, એક આંટો આવીને બેનની સંભાળ લઈ જાય.”

થોડે દિવસે રામના મામા આવીને હાજર થયા. અસલ નામ તો રામ ધાધલ, પણ સંસાર છોડીને પરમહંસ દશામાં રહેતા હોવાથી રામસ્વામી નામે ઓળખાતા. અવસ્થા વરસ પચાસેકની હશે. બહેનભાઈ બે ય એક જ ખમીરનાં હતાં. આઈ પણ જીવતરમાં આકરાં વ્રત નીમ કરનારાં: એક નીમ તો રોજ સૂરજનાં દર્શન કર્યા પછી જ આહાર પાણી લેવાનું: એમાં એક વાર ચોમાસાની હેલી બેઠી. ઘમઘેાર વાદળમાં સૂરજ દેખાય નહિ, ને દેખ્યા વગર રાઠોડબાઈને અન્ન નામ ખપે નહિ. એક દિવસ, બે દિવસ. એમ એકવીસ દિવસ સૂરજ દેખાણો નહોતો ને આઈએ એકવીસ અપવાસ ખેંચ્યા હતા.

એવી બહેનના સંસારત્યાગી ભાઈ રામસ્વામી પણ જ્ઞાનની લ્હેરમાં ઉતરી ગયા હતા. સંસારની ગાંઠ એને રહી નહોતી. પણ એણે બેનનાં કલ્પાંત સાંભળ્યાં ને ભાણેજના ઉધામા દીઠા. આઈએ ભાઈને છાનામાનાં કહ્યું કે “આ છોકરો ક્યાંઈક કટકા થઈને ઉડી જશે. એનું દલ દનિયામાં જપતું નથી.”

રામસ્વામીએ ભાણેજને પોતાના હાથમાં લીધો. આખો દિવસ મામા ભાણેજ બેય ખેતરમાં જઈ હાથોહાથ ખેડનું કામ સંભાળે અને રાતે મામા રામાયણ, ગીતા વગેરેના ઉપદેશ સંભળાવે. રામ છેટો બેસીને સાંભળ્યા કરે. મામા એને એકધ્યાન થઈને બેઠેલો દેખી સમજે કે રામ ગળે છે અને સંસારના ઉદ્યમમાં એનું ચિત્ત ચોંટતું આવે છે. પણ મામા ભૂલતા હતા. રામ તો