પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૩૧
 


પાછા પોલીસમાં રજુ થયા. કાઠીઆવાડથી કશા ખબર ન આવવાથી તેમજ બીજા કોઈ ગુન્હાની જાણ નહિ હોવાથી પોલીસે આ ચારે જાત્રાળુઓને રજા દીધી. રૂપીઆ થોડી વાર પછી લઈ જવાનું કહ્યું. ઘેર આવીને રામ કહે “ભાઈ, રૂપીઆ ઘોળ્યા ગયા ! હવે આપણે ઝટ આ દાના કાળીઆની ઉપરથી આપણો ઓછાયો આઘો કરીએ.”

ઉપડ્યા. કરાંચીથી પાંચમે સ્ટેશને જઈને ગાડીમાં લાગુ થયા. ગાડી ચાલી જાય છે. જોખમ ઉતર્યું જણાય છે. ત્યાં તો આગલે સ્ટેશને પોલીસ આવી પહોંચી. ચારને અટકાયતમાં લીધા. કારણ કે વાવડીથી ડોસા પટેલનો તાર કરાંચી પોલીસ ઉપર આવ્યો હતો. તારમાં લખ્યું હતું કે “એ ચાર જણા રાવણી ભાંગ્યાના તહોમતદાર છે. માટે ઝાલજો ” બીજો તાર એજન્સી પોલીસનો હતો : “અમારી ટુકડી કબજે લેવા આવે છે. તહોમતદારોને સોંપી દેજો."

ચારેને કરાંચી લઈ ગયા. ત્યાંથી તેઓ એજન્સીના બગસરા થાણાવાળી પોલીસ ટુકડીને સુપ્રત થયા. ફરી ગાડીમાં બેઠા. આખે રસ્તે રામવાળાએ પોલીસ સાથે એટલી બધી સારાસારી રાખી કે પોલીસ ગાફેલ બન્યા. છેલ્લા દિવસને પરોડિયે, સહુને ઉતરવાનું સ્ટેશન કુંકાવાવ ઢૂંકડું આવ્યું, ગાડી ધીરી પડી, રામે પોલીસને ઝોલે ગયેલા દીઠા, એટલે પોલીસની બંદૂક લઈને રામ ગાડી બહાર ઠેક્યો, પાછળ ગોલણ ઠેક્યો, નાગ પણ ઉતર્યો, એક ગોદડ રહી ગયો. ખસીઆણી પડેલી પોલીસ ટુકડી એક ગોદડને લઈ બગસરે ચાલી ગઈ. કાઠીઆવાડમાં દસે દિશાએ તાર છૂટ્યા.

સંવત ૧૯૭૦ના વૈશાખ મહિનાની અજવાળી દશમ હતી. મંગળવાર હતો. ઉજળો, અંગે લઠ્ઠ અને ઉંચા કાઠાનો ડોસો પટેલ તે દિવસ બપોરે વાવડીના થડમાં કણેર ગામે ડેલીનો