પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
સોરઠી બહારવટીયા : ૩
 


ઉપડ્યા. કૂબડે આવ્યા. રાતે ભૂરા પટેલને ગોત્યો. પણ ભૂરો પટેલ ઘેર નહોતો. ભૂરો પટેલ માતબર ખેડુ હતો, પાકો મુસદ્દી હતો, અને ગાયકવાડી મહાલ પંચાયતનો ઉપાધ્યક્ષ હતો. એ બહાદુર નર બંદુક પણ બાંધી જાણતો. એ વસ્તીને પીડનાર નહોતો. લાગે છે કે ફકત નાગ–ગોદડની સાથે એને લેણદેણની તકરારો ચાલતી હશે તેથી જ આજ નાગ-ગોદડ રામને એને માથે લઈ આવેલા. પાછા ચાલ્યા. બહારવટીયા બાવાવાળાનું રહેઠાણ 'જમીને ધડો' નામે ઓળખાય છે ત્યાં આવ્યા. ત્યાંથી ગીર-જેતલસર બાવાવાળા બહારવટીયાને તેખમે : ત્યાંથી ચાલીને કનડે ડુંગરે: કનડા ઉપર અઠવાડીયું રહ્યા. ગિરનારમાં આવ્યા, ટોળી બાંધી: રામ, ગોલણ, ગોદડ, નાગ, હરસૂર તગમડીઓ, વાલરો મકવાણો, રામ ભીંસરીઓ ને મવાલીખાં પઠાણ: એમ નવ જણનું જૂથ બંધાણું. બીલખા ગામે જઈ, ત્યાંના એક કાઠી દરબારનો આશરો લઈ હીંગળાજની જાત્રાનો ભગવો ભેખ ઉતાર્યો. ચોરાસી જમાડી અને કેસરીઆ પહેર્યાં. રામ તે દિવસ કાંડે મીંઢાળ બાંધી વરરાજો બન્યો અને નવ જણાની જાન જોડી મોતને માંડવ તોરણ ચડવા ચાલી નીકળ્યો. તે દિવસ એની અવસ્થા વરસ પચીસ જેટલી જ હતી.

૧૦

ષાઢ શુદ અગીઆરસ હતી અને વાર શુક્રવાર હતો. ગાયકવાડ તાબાના ગોવીંદપરા ગામમાં દીવે વાટ્યો ચડી હતી. ગોધન ગામમાં પેસી ગયું હતું. છેલ્લી પાણીઆરી પણ બેડું ભરીને વહેતી થઈ હતી. પાણીશેરડે કોઈ રડ્યું ખડ્યું ઢોર અવેડા ઉપર ઉભું હતું. એ વખતે આઠ જણાની ફોજ ભેળો રામ ગોવીંદપરાને પાદર આવી ઉભા રહ્યો. ગામમાં પેસતા પહેલાં રામે કહ્યું. “એલા ભાઈ, ઉભા રહો હારબંધ. હું ગણતરી કરી