પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
સોરઠી બહારવટીયા : ૩
 


“ઇંગોરાળે તો મારાથી કેમ જવાય આપા હમીરવાળા ? તમારા જ ભાંડુ આલાવાળાને ત્યાંના જૂઠા ઠક્કરે ચાકરીમાં રાખી ચોકી કરવા બેસાર્યો છે. આપણે ઉઠીને એની-કાઠીની ચોકી ચૂંથશું ?”

“રામભાઈ ! આલાવાળો ત્યાં નથી. અને હું તમને સેાને ધરવી દઉં. એવું ગામ છે ઇંગોરાળા.”

“સોનું રૂપું નથી જોતું નથી જોતું આપા હમીર. ” રામ ચળ્યો નહિ.

"ખેર ભાઈ, સોના રૂપા સાટુ નહિ, પણ જુલમના કરવા વાળા એ જુઠા ઠક્કર અને મૂળજી ઠક્કરને અકેકાર તું રામ ઉઠીને નહિ અટકાવ્ય તો બીજું કોણ અટકાવશે ? તપાસ્ય તપાસ્ય ભાઈ ! ઇંગોરાળાના એ ઠક્કરોના ચોપડામાં એક વાર આવેલો એકેય કાઠી કે કણબી આ જન્મ કેદિ બા'રે નીકળી શક્યા છે ?”

રામનો ચહેરો બદલ્યો. એ ચકોહરને ડુંગરે બેઠે બેઠે રામની આંખ આગળ વ્યાજખાઉ વેપારી તરવર્યો. હમીર વાળાએ લાગ જોઈ આગળ ચલાવ્યું.

“અને ભાઈ ! અમારી નાની ધારીના હવાલ તો નિહાળ્ય ! જૂઠો અમારો કાળ નીવડ્યો. નાની ધારીને ફોલી ખાધું. એનાં કૂડ, એના દગા, એની મેલી કળવકળ.... ”

“બસ આપા હમીર !” રામ વચ્ચે બોલ્યો: “હાલો. ઇંગોરાળું ભાંગવું છે, માયા સાટુ નહિ, વ્યાજખાઉનાં રગત પીવા સાટુ, હાલો ભાઈઓ."

ચકોહરને ડુંગરેથી આખી ટોળી ઉતરવા લાગી. સાંજ પડતી આવે છે. ભેંસો ઉભાં ખડ ચરે છે. તે વખતે એક જોરાવર જુવાન આડો ફર્યો. રામે પૂછ્યું “કાં ભાઈ મેરૂ, શું ધાર્યું ?”

“આ ડાંગ ફગાવીને તમારે હાથે તલવાર બાંધી લેવાનું.”