પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮


બહારવટીઆની વીરપૂજા

સાચો બહારવટીઓ પોતાનામાં જેટલું વીરત્વ પ્રગટાવી શકતો તેટલો સામા શત્રુના વીરત્વને પણ સન્માન આપી શકતો હતો. મેાવર તો નર્યો લુંટારો હોવા છતાં પેલા પારકરના બહાદૂર વેપારી વાણીઆને એક તલવારે પોતાની આખી ટોળે સામે આવતો ભાળી ' રંગ તુને !' પોકારી વણલુંટ્યે ચાલ્યો ગયો: સામન્ડના બોલ પર ઇતબાર રાખી સરકારને શરણ થયો: વાઘેર બહારવટીઆ જોધામાણેકે એકલા દ્વારકા જઈ બાર્ટન સાહેબની સાથે આંખોની પણ ઓળખાણ વિના, કેવળ એના સંદેશા પર વિશ્વાસ ધરી મુલાકાત લીધી : અને મૂળુ માણેક એવેજ વિશ્વાસે હથીઆર છોડવા જતા ફસાઈ ગયો : શત્રુઓની ઉપર અાવો વિશ્વાસ મૂકવાની સાફદિલ હીંમત ભીરુ ચોરડાકુઓમાં નથી હોતી. દગાની દેહશત ન રાખે એવું વીરત્વ આ લોકોની છાતી નીચેથી અનેક વાર ડોકિયા કરી જતું. એના સર્વોત્તમ દૃષ્ટાંતનો કિસ્સો અાભપરા ડુંગર ઉપર એક આરબનો બની ગયો છે. વાઘેરોનો હલ્લો થતાં આખી ફોજ ભાગી તેમાંથી ફક્ત એક જ યુવાન આરબ 'હમ નહિ હટેગા ! નમક ખાયા !' કહી ઉભો રહે. એટલે એ વીરતા પર મુગ્ધ બની વાઘેરો એને રસ્તો દઈ દે : પણ પોતાના ધણીના સરંજામ પરથી આરબ મર્યા પહેલાં ખસવાની ના પાડે, એટલે બહારવટીઓ પણ એને એકને સામટા જણ જઈને મારવાની ના પાડે. આખો દાયરો બેસે. અક્કેક બહારવટીઓ એ આરબ સામે લડે, છેવટે આરબ પડે, અને બહારવટીઆ એની રીતસર મૈયત કાઢી દફનાવે: એ ઘટના એક નજરે જોનાર શત્રુ-સૈનિકને મુખથી કહેવાતી આવી છે. સ્કૉટ કૃત 'આઈવેન હો.' નામક નવલમાં રોબીનહુડ વિષે પણ આવી જ કથા આલેખાઈ છે.

ઇતિહાસ કે કલ્પના ?

આ બધી ઘટનાઓ વિલક્ષણ હોવાને કારણે અસંભવિત હોવાની પણ શંકા પડે. આ કિસ્સાઓ ક્યાંયે નોંધાયા નથી. બહારવટીઆની વિરોધી સત્તાઓને દફ્તરે તો એને સ્થાન જ ન સંભવે. સહજ છે કે એ દફતરો બહારવટીઆઓને હરામખોરો, લૂંટારાઓ, બળવાખોરો એવા શબ્દોમાં જ વર્ણવે ને બહારવટીઆની શામળી બાજુ રજુ કરી એને વધુ શામળી બનાવવાના પ્રયત્ન કરે. તેમ બીજી બાજુ લોકોને પણ પેાતાના સારાનરસા તમામ અનુભવો છુપાવવામાં જ પોતાની સલામતી લાગતી હોય. બહારવટીઆ સાથે પડેલા પ્રસંગો પકડાઈ જતાં વસ્તીને રાજસત્તાનો ખોફ વ્હોરવો પડતો; તેથી તેઓ પણ ચુપ રહ્યા