પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫

લાલિત્યના લીસા પાસા પાડવાનો યત્ન નથી : પ્રસંગોનું ઝીણું વિવરણ પણ નહિ : એટલે કેવળ રાવણહથ્થાના વાદનની સાથે જ આ ગીતો ગમતાં થાય : “Combining narrative system with a lyric form” : "The verse is often crude, the tune is often coarse, but not seldom they have a genuine music.” આ શબ્દો બરાબર આ વિભાગને લાગુ પડે છે.

૩. ચારણી દોહાગીતો. આ દોહાઓ જૂની પ્રેમકથાઓમાં છે તેવા, બહારવટાની સાંગોપાંગ ઘટનાઓના સાંકળેલા નહિ, પણ કાં કોઈ કોઈ પ્રસંગમાંથી પ્રેરિત, કાં બહારવટીઆના કોઈ ખાસ લક્ષણના દ્યોતક, કાં માત્ર શૈાર્ય પ્રેરક, અથવા તો કેવળ વધુ પડતી સ્તુતિના વાહક બને છે. જુએા પ્રસંગ વર્ણન : રામવાળાએ એક પાટીદાર ફોજદારને ઈંગારાળામાં ઠાર કર્યા : એને સૂચક દોહો રચાયો :

કણબી આવશે તે કાઠ્યમાં, એ લેવા ઈનામ
 ગરવાળાને ગામ રફલે ધબ્યો રામડા !

આ પ્રકારના અનેક દુહાઓમાં ઘટનાનું વર્ણન નથી. ફકત ઉલ્લેખ છે. રામવાળાની પ્રશસ્તિ છે. આમ ઘટનાવર્ણનો Balladના માત્ર અંકુરો જ બનીને અટકી ગયા. રચનારાઓનું ધ્યાન સ્તુતિ પર જ રહ્યું. જુઓ:

જમૈયો જાલમસંગરો, ભાંજ્યો તેં ભોપાળ!
દેવે જંજાળ્યું છોડિયું, ગો ઉડે એંધાણ.

એમાં રાજાબહાદુર જાલમસંગની કમરનો જમૈયો કેવા સંજોગોમાં વાઘેરોએ ઉડાવી મૂક્યો, તેનું બયાન નથી. એટલે આ દુહાઓ યુરોપી 'Ballad'ના પદે ન બેસી શકે, છતાં એમાં રણગાનની નાદપ્રતિભા જામેલ છે. હવે બહારવટીઆનાં વિશિષ્ટ લક્ષણ દાખવતા દુહા વધુ બલવંત છે. જુઓ જોગીદાસના દુહા :

પરનારી પેખી નહિ, મીટે માણારા !
શૃંગી રખ્ય ચળિયા, જુવણ જોગીદાસીઆ!

એ બહારવટીઆનું ઉગ્ર શિયળવ્રત સચોટ શૈલીએ દાખવે છે. પછી

ફુંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ
નાવે કંડીએ નાગ, ઝાંઝડ જોગીદાસીઓ !