પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬


૩. અન્યાયનો ઘુંટડો એ ખુન્નસભર્યો, ખમીરભર્યો, સ્વમાની અને ટેકીલો ગરાસીઓ કેમ કરીને ગળી જાય ? ગળી: જાય તો એની મર્દાનગી શા ખપની ?

૪. એ ઉઠ્યો : મરવા મારવાનો નિશ્ચય કરીને ઉઠ્યો : એણે પોતાનાં પ્યારા બાળબચ્ચાં કોઈ પરાયાં ઘરને ભરોંસે ભળાવ્યાં. એણે પોતાના વહાલા ઘર તરફ પીઠ વાળી : 'turned his back on the homestead where his families lived for centuries.' અને વેરાનમાં ઘર: કર્યું.

૫. એ શા કારણે ? શા પરિણામની આશા કરીને ! જીતવાની કે જીવવાની નહિ, પણ મૃત્યુ વડે, પોતાના શોણિતાક્ષરે અન્યાય સામે અવાજ દેવાની. યાદ કરો હીપા ખુમાણનું વચન : “મારે તો પાલીતાણાના દરબારગઢમાં મારો રણસંગો ખોડાવવો છે !” બહારવટીઓ વૈભવ માણતો નહોતો. સાત સાત લાંઘણો સહેતો. રાત- દિવસ ૫હાડો ને નદીઓમાં ભાગતો ને સંતાતો. ઘાયલ થતો. પીડાતો. અનોધા કષ્ટ સહેતો. બાળબચ્ચાંના લાંબા વિજોગ સહેતો, અને ક્યાં ક્યાં સુધી ? બાર બાર. ચૈાદ ચૈાદ વર્ષના અથવા સદાના એ વસમા દેશવટા હતા. અને છેવટે એના મિત્રો દ્વારા જ રાજસત્તાની કુટિલ દગલબાજી, વિષથી, કતલથી કે આગ વડે એના જીવનનો કરૂણ અંત આણતી.

૬. અને પેાતાના અન્યાયનો પ્રતિકાર કરાવવા અથવા તો બદલો લેવા માટે સૈન્યની જરૂર હતી. એની પાસે રાતી પાઈ નહોતી. લોકોએ એ સૈન્ય નભાવવું જ પડે એ એની વિચારણા હતી. શિવાજીએ પોતાની ફોજ સુરતની લૂંટ ઉપર, એક નહિ પણ સાત સાત વારની લુંટ પર નભાવી. એ છત્રપતિ, ક્રાંતદશ, શાસક, નિયામક અને મરાઠી મહારાજ્યનો સ્થાપક તો લુંટફાટમાંથી સાધનો મેળવ્યા પછી થએલો.

૭. એણે લૂંટો કરીને ધન સંઘર્યું નહિ. પોતાનાં સ્નેહી સંબંધીઓને નિહાલ કરી ન દીધાં. [ રામવાળાએ પોતાની બહેનોને કહેવરાવ્યું મનાય છે કે “રગતનો પૈસો તમને નહિ ઝરે. માટે હું તમારા સારુ લુંટ નહિ કરૂં. ] માત્ર પોતાનો ટકાવ કરી, બાકીનું ખરાતમાં દીધું.

૮. એનાં બાળબચ્ચાં ને સગાંવહાલા પર જુલ્મ અને અપમાન ગુજરતા. એની પોતાની સામે પણ શત્રુરાજ્ય એકલું જ નહોતું, પણ અન્ય મિત્રરાજ્યો, બહારની સત્તાઓ વગેરેનાં જૂથ જામતાં. એથી