પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪


“હવે મૂળુ એકલો રહ્યો તે આ વખતથી નિરાશ થઈ ગયો. ઘણી ભૂખ, તરસ, થાક, ઉજાગરા, માણસો મુવાનો અફસોસ, ભાઈ જેવા ભાઇનું મોત, તે પણ વિયોગમાં થયું: તેથી શું એના મનને થોડું લાગતું હશે ? કહે છે કે કેટલીક તો મૂળુ લાંઘણો ખેંચતો હતો અને કેટલીક વાર તેને સાતસાત દહાડા સુધી અનાજ મળ્યું નહોતું. બિચારો તે પણ ઘણા દહાડા આ રીતે રખડી છેવટ સહેજમાં ઓચીંતો પોરબંદરની ગીસ્તને હાથે મરાયો"

x x x

“આહાહા ! આ વખત તેના મનને શું થતું નહિ હોય ? તેને આ વખતે શું જોધાભાઈની શીખામણો યાદ નહિ આવતી હોય ?”

x x x

“દ્વારકાની લડાઈ વખત જે દોઢ હજાર માણસનું ઉપરીપણું ભોગવતો હતો તે હવે ફક્ત અંગત પાંચ સાત માણસથી રહ્યો. એટલું સારું કે તેની આ દુ:ખદાયક જીંદગીનો થોડા વખતમાં જ અંત આવ્યો. બેશક એ હરામખોરનો ધંધો લઈ ફરતો, એટલે સામાન્ય રીતે જોતાં આવા મૃત્યુથી આપણે ખુશી માનવી જોઈએ, તો પણ તેને એમ કરવા ગાયકવાડ સરકારે જુલમથી ફરજ પાડેલી. જમાનાની રીત સમજવા તેનામાં પહોંચ નહિ, એટલે એ કેટલીક બદસલાહને તાબે થએલો. તો પણ તેના મહાન વિચાર, તેનું શુરવીરપણું, ઉદારતા, અને તેના આવા પ્રકારના મરણથી તેના કુટુંબ પર ગુજરેલી અપદશા દેખી કઠણ દિલના માણસને પણ દયા આવ્યા વિના રહે જ નહિ. ખરે દેવાનાં કામ તો ક્રૂર ને તિરસ્કારપાત્ર હતાં, પણ મૂળુનાં કામ એવાં ન હતા કે તેને આપણે હલકી પંક્તિના બારવટીઆની જોડે સરખાવીએ.”

x x x

“મને બીજા કોઈ ઢેડ અને પીડાકારક વાઘેર મૂવા તેનું કાઈ તપતું નથી. પણ એક ઉચ્ચ, ખાનદાન આખી ટોળી માટે જ તપે છે. અરે ! તે સર્વનો ઘાણ નીકળી ગયો. તેઓ સાવ અણસમજુ નહોતા, પણ તેઓને સોબતે ભૂલવ્યા, હલકા વાઘેરોએ તેઓના માથાં ફેરવી નાખ્યાં. અને વળી તેમાં ગાયકવાડી જુલ્મે વધારે અસર કરી. સિપાઇ તો ખરા જ. મરવાં મારવાં તે તો હિસાબમાં નહિ, વાણીયા ન હતા કે ભાઈબાપ કહી, કીધેલાં અપમાન માફ કરે. વૈર લેવાના જોશમાં દૂર અંદેશે, ભૂડું થશે તે સૂઝ્યું જ નહિ. જોધાના વિચાર તો આખરની ઘડી સુધી સારા હતા, પણ બીજાઓએ તેને પરાણે ફસાવ્યો. × ×