13 બાનરો આ પણ પુરુષના પલટી ગયેલા હૃદયની અને સ્ત્રીના અવિચલ પ્રેમની કરુણ કથા છે. જુવાનનું નામ બાનરો અથવા બાનરશી છેઃ જાતે આહીર છે, પોતે કાંડોરડા ગામનો વાસી હશે, એવો એક દુહામાં ઇશારો છે. યુવતીના નામનો દુામાં નિર્દેશ નથી. કોઈ મૂળાંદે એવું નામ કહે છે. આખી કથામાં બાનરાનું પાત્ર પોતે આવીને ક્યાંયે ડોકાતું નથી. ત્યજાયેલી પ્રેયસી પોતે જ પોતાના ઉદ્ગારો વાટે આપવીતી કહે છે. પ્રથમ બંને વચ્ચે પ્રીતિ બંધાઈ. ભાદર-તટે ભરાતા કોઈક મેળામાં બેય ભેળાં થયાં હશે. વીસે વીસ દુા સાક્ષી પૂરે છે કે આહીર-કન્યા એ જુવાનના ગરવા ગુણો ઉપર મોહીને મન અર્પણ કરી બેઠી હશે. મેળાની શૌર્યભરી રમતોમાં, રાસ-ગરબીઓમાં ને ચાતુરીમાં બાનરશી બીજા સહુથી સવાયો દેખાયો હશે, બાકી, દેહનાં પડછંદ પાતળિયાં રૂપ તો આહીરડાઓને જન્મથી જ વરેલાં હોય છે. પણ કોણ જાણે શા કારણે આ પ્રેયસીનાં સગાં એ સંબંધનો વિરોધ કરીને બેઠાં. વાત એટલે સુધી વધી ગઈ કે બાનરો જો હવે આવે તો બંધૂકે દેવો. બંદૂકથી બીને બાનરો બદલી ગયો. બહાદુર બનીને પોતાની તલખતી પ્રેમિકાને બચાવવા – અરે મોં દેખાડવાય ન આવ્યો ! પ્રેમિકા સંદેશા કહાવે છે, પણ જવાબ નથી મળતો ત્યારે પછી આશા ત્યજે છે. બાનરો કહાવે છે કે હવે તો આપણો સંબંધ બંધાવો દોહ્યલો છે. બીજું કોઈ ઠેકાણું ગોતી લેજે. આ ટેકીલી નારી નવા સ્નેહ કરવા ના પાડે છે. આંબેથી ઊઠીને બાવળ ૫૨ બેસવું એના હૃદય-પંખીથી બને તેમ નથી. પણ એને અંદેશો પડે છેઃ કદાચ બાનરાનું અંતર બીજે તો નહીં કર્યું હોય ! શોધમાં નીકળી પડે છે. ઊની લૂ ખાઈ ખાઈ, પગે ચાલી ચાલી, એના સુકોમળ શરીરનો બરડો પણ બેવડ વળી જાય છે. એ-ના એ જ ભાદરકાંઠાના મેળામાં જઈ ગોતે છે, પણ બાનરો નથી જડતો. આખરે એને ખાતરી થાય છે કે બાનરો બીજાનો થઈ ગયો. પછી એના જીવનમાં તો ‘ગર સળગી, ગઝબ થયો, સળગ્યાં સાતે વન !’ પછી તો અગ્નિને બાથ ભરવી રહી. જીવ ક્યાંય જંપતો નથી. મન બળવા માટે મસાણે દોડે સોરઠી ગીતકથાઓ
527