પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કે ચારણ-કન્યા સાથેનો વિવાહ ગૌવધ અથવા ગૌ-સવારી જેવો જ પાપમય છે ને એ પાપાચરણથી પ્રજા હાહાકાર કરી મૂકશે. કુમાર પોતાના અંતઃકરણને કચરીને આવાસમાં બેસી ગયો. ઊજળીએ ઘણા દિવસ વાટ જોઈ. વિવાહની તિથિ વીતી ગઈ. આકુલ વનવાસિની આખરે આ ટીંગાતી મનદા ન સહેવાતાં હિંમત કરીને ઘૂમલીમાં આવી. મેહજીને મહેલે ગઈ. પહેરેગીરોએ એને ઉપર ચડવા ન દીધી. એણે આંગણામાં (અથવા કદાચ પાદરમાં) ઊભા રહીને મેહને સાદ પાડ્યા, ‘એક વાર તો મોં બતાવ !' એવા કાલાવાલા કર્યા. મેહજીએ બારીએથી ડોકું કાઢીને જવાબ આપ્યોઃ ‘રાજપૂતથી ચારણીને ન પરણાય. આપણી પ્રીતિને હવે વિસારી જજે.' ઊજળી બહુ બહુ રડી. શાપ દીધો. ચાલી નીકળી. નેસડું ઉપાડી ઠાંગા ડુંગરે ચાલી ગઈ. સદાની કુંવારી જ રહી ! કહેવાય છે કે એ શાપને પરિણામે મેહ-કુમારને શરીરે ગળતકોઢ નીકળ્યો. એનું મોત થયું. એ ટાણે ઊજળી આવીને એના શબ સાથે બળી મરી. દોહાઓમાં આ બધા જ પ્રસંગો નથી. ફક્ત ઊજળીની વાટના ઉદ્ગાર, વિરહના સ્વરો, મેહજીએ આપેલો જવાબ ને પોતે દીધેલો શાપ એટલું જ નીકળે છે. બાકીનું બધું લોકોક્ત છે. આ કથાને શ્રી જગજીવન કા. પાઠકે ઈ. સ. 1915ના ‘ગુજરાતી’ના દીપાલિ અંકમાં આપેલી હતી ને મકરધ્વજવંશી મહીપમાલા'ની ચોપડીમાં મૂકી છે. એમાં સંપાદક તળાજાના એભલ વાળા માટે કહેવાતો પ્રસંગ (સાતદુકાળી, મંત્રેલ હરણ વગેરેનો : જુઓ ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ 1) મેહજીની સાથે જોડે છે. ઉપરાંત આ પ્રસંગ બરડા ડુંગરમાં નહીં, પણ ત્યાં 50-60 ગાઉ દૂરના ઠાંગા ડુંગરમાં બન્યાનું માને છે. મેહજીને શ્રી પાઠક 114મી પેઢીએ મૂકે છે. પણ તેની સાલસંવત નથી આપતા. પોતે તે પછીના 147મા રાજાને બારમી શતાબ્દીમાં મૂકતા હોઈ, અંદાજે મેહજીનો સમય બીજા-ત્રીજા સૈકાની અંદર માની શકાય. પરંતુ બીજા એક મેહજીને (152) પોતે સંવત 1235માં મૂકે છે. ઊજળીવાળો મેહજી આ તો ન હોય? કથાના દોહાઓ 1000-1500 વર્ષના પ્રાચીન તો નથી જ સંભવતા, ઘટના બન્યા બાદ સો-બસો વર્ષમાં એનું કવિતાસાહિત્ય રચાયું એવું ગણીએ તો મેહ–ઊજળીના દોહા સંવત 1400-1500 જેટલા જૂના હોવાનું કલ્પવું અનુકૂળ પડે છે. તો પછી આ કથાનો નાયક 152મો મેહજી હોવાનો સંભવ વધુ સ્વીકારવા યોગ્ય મનાય. ઉપરાંત જેઠવાઓએ ઘૂમલી વસાવ્યું જ મૂળ ત્રીજા-ચોથા સૈકામાં. અને આ કથા તો ઘૂમલીના નાશના સમયની નજીક છે. ઘૂમલીનો પરાજય બારમી સદીમાં કચ્છના જામ બામણિયાને હાથે થયો. એ રીતે પણ 123નો મેહજી સાચો ઠરે છે. સોરઠી ગીતકથાઓ

435

સોરઠી ગીતકથાઓ
૪૩૫